હાયપર ટેન્શન સાયલન્ટ કિલર સમાન છે આરોગ્ય વિભાગના તબીબોનો મત
ઘરેઘર જઈને 30 વર્ષથી ઉપરના તમામ લોકોનુ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું
વિશ્વ હાઇપર ટેન્શન દિવસની ઉજવણીના ભાગરૂપે 1 મહિનો અભિયાન ચાલશે
ભરૂચ 28 મે (હિ.સ.)
ભરૂચ જિલ્લાના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં વિશ્વ હાઇપર ટેન્શન દિવસની ઉજવણીના ભાગરૂપે એક મહિનો જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે . વાલિયા તાલુકાના દેસાડ ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિરના કર્મચારીઓ સીએચઓ ,એફએચડબલ્યુ અને આશા દ્વારા ઘરેઘર જઈને 30 વર્ષથી ઉપરના તમામ લોકોનુ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું. હાયપર ટેન્શન અંગે જાગૃત કરાયા હતા. જિલ્લા આરોગ્ય વિભાગના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે તારીખ 17 મેના રોજ વિશ્વ હાઇપર ટેન્શન દિવસની ઉજવણી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી . હાઈપર ટેન્શનથી શરીરને થનાર નુકસાન અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
એક મહિનો જનજાગૃતિ અભિયાન સમગ્ર જિલ્લામાં ચાલી રહ્યું છે જેના અનુસંધાને આયુષ્યમાન આરોગ્ય મંદિર દેસાડ ગામના નવીનગરી ફળિયામાં આયુષ્યમાન આરોગ્ય મંદિર ટીમ દ્વારા ઘરેઘર જઈને લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું .હાઇપર ટેન્શન અંગે લોકોને જાગૃત કરી લોકોના સ્વાસ્થ્ય અંગે તકેદારી લેવામાં આવી હતી. હાઈપર ટેન્શન સાઇલેન્ટ કિલર સમાન હોય તેનાથી ચેતીને રહેવું જરૂરી છે. આહારની ખરાબ આદત, બેઠાડું જીવન શૈલી અને તણાવમાં વધારો વગેરે જેવા કારણોથી હાઈપર ટેન્શનના કેસોમાં વધારો થઈ રહ્યો છે જેનાથી બચવું આજના સમયે જરૂરી છે .
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ