જૂનાગઢ 28 મે (હિ.સ.) ૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તારની પેટાચૂંટણી – ૨૦૨૫ નો કાર્યક્રમ નિર્ધારિત થયો છે. આ માટે તા. ૧૯/૬/૨૦૨૫ રોજ મતદાન થનાર છે.
આ ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના ટેકેદારો દ્વારા સભા-સરઘસ અંતર્ગત લાઉડ સ્પીકર દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવનાર છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકસાન થતું અટકાવવા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, ઉપરાંત કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ અને સલામતી ને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા યથાવત જળવાઈ રહે તે હેતુસર લાઉડ સ્પીકરના ઉપયોગ અને સભા સરઘસ દરમિયાન વર્તન વર્તુણૂંક માટે સાવચેતીના અને આગોતરા પગલાંના ભાગરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલકુમાર રાણાવસિયાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે.
આ જાહેરનામા અને કાયદાકીય જોગવાઈ મુજબ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્યા સિવાય જાહેરમાં લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. લાઉડ સ્પીકર વગાડવા સક્ષમ અધિકારીતરફથી જે શરતે પરવાનગી અપાયેલ છે, તે શરતોનું પાલન કરવાનું રહેશે. ફક્ત સવારના ૬ કલાકથી રાત્રિના ૧૦ કલાક સુધી જ જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકસાન ન થાય તે રીતે વગાડવાનું રહેશે. લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી મળેલ હોય તેમ છતાં પરવાનગીના સ્થળ નજીક સરકારી કે અર્ધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક કે ધાર્મિક સંસ્થાઓ કે દવાખાનાઓ આવેલા હોય તો આ કચેરીઓ સંસ્થાઓની કામગીરીમાં કોઈ અડચણ ન થાય તે રીતે તદ્દન ધીમા અવાજથી વગાડવાના રહેશે.
ઉપરાંત સક્ષમ અધિકારીશ્રીની મંજૂરી મળ્યા બાદ જ સભા સરઘસનું આયોજન કરવાનું રહેશે તથા જે શરતે પરવાનગી અપાયેલ છે તે શરતોનું પાલન કરવાનું રહેશે. સભા સરઘસમાં શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, સોટા બંદૂક, ચપ્પુ, લાકડી અથવા લાઠી અથવા શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી કોઈ ચીજો, કોઈપણ ક્ષયધર્મી અથવા સ્ફોટક પદાર્થ, પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેંકવાના અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઈ જવાની એકઠા કરવાની તથા તૈયાર કરવા માટે મનાઈ ફરમાવવામાં આવે છે.
જે ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી દેખાડવાથી અથવા તેનો ફેલાવો કરવાથી આવા અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂચી અથવા નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેના પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા ભાષણ આપવાની કે તેવા ભાષણ આપવાની, કે તેવા ચાળા વગેરે કરવાની અને ચિત્રો, નિશાનીઓ વગેરે તૈયાર કરવાની કે દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવા પર મનાઈ ફરમાવવામાં આવે છે.
આ હુકમ નો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૧૩૧, ૧૩૫ તથા ચૂંટણી અંગેના આચારસંહિતાની જોગવાઈઓ હેઠળની શિક્ષાને પાત્ર થશે. આ હુકમ ૮૭- વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં હુકમની તારીખથી અમલમાં આવશે અને તે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સુધી અમલમાં રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ