પાટણ, 28 મે (હિ.સ.)રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે સંયુક્ત સંઘ શિક્ષા વર્ગ પાટણની ભગવતી ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં યોજાયો છે. આ વર્ગમાં 10 વિભાગોના 37 જિલ્લાઓમાંથી 259 વિદ્યાર્થીઓ જોડાયા છે. 32 અનુભવી શિક્ષકો દ્વારા સંઘ કાર્યના વિસ્તાર અને દૃઢીકરણ માટે શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓએ સમયના યોગ્ય ઉપયોગની મહત્તા અને સ્વદેશી જીવનશૈલીનું મહત્ત્વ શીખ્યું. પથ સંચલનમાં શિસ્તભર્યું આગમન રહેલું હતું, જેમાં ઝલ્લરી, શંખ, વંશી, ઘોષ-દંડ જેવી વાદ્યયંત્રોની લયબદ્ધ ગૂંજ શોભા વધારતી હતી. સંચલન ભગવતી સ્કૂલથી શરૂ થઈ જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી, યુનિવર્સિટી અને ટી.બી. ચાર રસ્તા થકી કોલેજ કેમ્પસ સુધી યોજાયું.
વર્ગના સર્વાધિકારી મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, સંઘ શિક્ષા દ્વારા સ્વયંસેવકો રાષ્ટ્ર અને સમાજસેવામાં સમર્પિત બને છે. સંચલનમાં ન જાતિવાદ હોય, ન પ્રાંતવાદ — માત્ર રાષ્ટ્રવાદનું દર્શન થાય છે. વર્ગનો સમાપન સમારોહ, 31 મેના રોજ સાંજે 6 વાગ્યે કોલેજ કેમ્પસમાં યોજાશે, જેમાં તમામ નગરજનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ અપાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર