ગીર સોમનાથ 29 મે (હિ.સ.)
ગીર સોમનાથ જિલ્લામાં ૧૫૩ ગ્રામપંચાયતોની ચૂંટણીને લઈને આદર્શ આચારસંહિતા અમલમાં મૂકવામાં આવી છે. જેના અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.વી.ઉપાધ્યાય દ્વારા જાહેરનામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે.
ગ્રામ પંચાયતની સામાન્ય/પેટા ચૂંટણીના અનુસંધાને આદર્શ આચાર સંહિતાની ચુસ્તપણે અમલવારી થાય અને ભયમુક્ત અને ન્યાયી ચૂંટણી થાય એ અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા આ ચૂંટણીલક્ષી વિવિધ જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
આ જાહેરનામાંમાં પરવાનાવાળા હથિયારો જમા લેવા બાબત, લાઉડ સ્પીકરના ઉપયોગ તથા સભા-સરઘસ ઉપર નિયમન, ખાનગી મિલ્કત/સ્થળ/જમીન ઉપર ચૂંટણી પ્રચારના બોર્ડ, બેનર્સ, કમાન, તોરણ–પોસ્ટર્સ વગેરે ઉપર નિયંત્રણ, ચૂંટણીવાળા વિસ્તારોમાં પરવાનાવાળા હથિયારો વિગેરે લઈને નીકળવા ઉપર પ્રતિબંધ, ચૂંટણીલક્ષી જાહેરાત, પાટિયા, બેનર્સ, કટઆઉટ વિગેરેના નિયમન, મતદાનના દિવસે વાહનોના ઉપયોગ ઉપર નિયંત્રણ, મતદાન મથકો તથા મતગણતરી કેન્દ્રોમાં મોબાઈલ ફોનના ઉપયોગ ઉપર નિયંત્રણ, મતગણતરી કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજયામાં ચાર કરતા વધારે વ્યતિઓના એકઠા થવા ઉપર નિયંત્રણ, મતદાન મથકોના ૧૦૦ મીટરની ત્રિજયામાં ચાર કરતા વધારે વ્યકિતઓની એકઠા થવા ઉપર નિયંત્રણ વગેરેનો સમાવેશ થાય છે.
ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર નિર્ધારિત કરવામાં આવેલા જાહેરનામાંને અનુસરવાના રહેશે. જેની સંબંધિત સર્વેએ નોંધ લેવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ