પાટણ, 29 મે (હિ.સ.)પાટણ શહેરમાં ગઈકાલે રાત્રે એક કલાક વરસાદ થયો હતો જેમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદ બંધ થયા બાદ પણ 7-8 કલાક સુધી રેલવે ગરનાળા વિસ્તારમાં પાણી ભરાયેલા રહ્યા હતા. આ વિસ્તારમાંથી રોજની જેમ મોટી સંખ્યામાં લોકોનો અવરજવર થતી હોવાથી વાહનો બંધ પડી જતાં અનેક લોકો ફસાયા હતા.
રેલવે ગરનાળો પાટણ શહેરનો મુખ્ય પ્રવેશદ્વાર હોવાથી લોકોાએ વૈકલ્પિક રસ્તા તરીકે બીજા રેલવે ગરનાળાનો ઉપયોગ કરવો પડ્યો હતો. પરિણામે ત્યાં પણ ટ્રાફિક-જામની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું હતું.
પાટણ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાની ખર્ચાયેલી પ્રી-મોન્સૂન કામગીરી નિષ્ફળ ગઈ છે. શહેર કોંગ્રેસ પ્રમુખે માંગ કરી છે કે, આવનારા દિવસોમાં પ્રી-મોન્સૂન કામગીરી વહીવટી તંત્રના સીધા નિરીક્ષણ હેઠળ કરવામાં આવે, જેથી ભારે વરસાદ દરમિયાન શહેરવાસીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર