સુરત, 30 મે (હિ.સ.)-પર્યાવરણ રક્ષણના ઉદ્દેશ સાથે કતારગામના ડભોલી ચાર રસ્તા પાસે જિલ્લા પંચાયતની પડતર જમીન પર જિલ્લા પંચાયત, પાંડેસરા ઈન્ડસ્ટ્રીયલ એસો. તથા કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝના સંયુક્ત પ્રયાસોથી ‘હરિત વન’નું નિર્માણ રાયું છે. ‘એક પેડ મા કે નામ’ પહેલ હેઠળ 22,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરીને ઉભા કરાયેલા હરિતવનનું લોકાર્પણ તા.31મીએ સવારે 10:30 વાગ્યે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરાશે.
ડભોલી ચાર રસ્તા પર આવેલા સ્વામિનારાયણ મંદિરની પાછળ નિર્મિત હરિતવન હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારી રહ્યું છે, જેથી આસપાસના લોકો શુદ્ધ હવા અને સ્વસ્થ વાતાવરણમાં શ્વાસ લઈ શકશે. અગાઉ અહીં જિલ્લા પંચાયતની પડતર જમીન પર પહેલા કચરો ફેંકાતો હતો, તે જમીન હવે ગ્રીન બેલ્ટમાં ફેરવાઈ છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં કચરાની દુર્ગંધ અને ગંદકી દૂર થઈ છે.
આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, જિ.પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયા, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેનશ્રી આર.બી. બારડ, જિ.વિકાસ અધિકારી શ્રીમતિ શિવાની ગોયલ, પાંડેસરા ઈન્ડસ્ટ્રીયલ એસો.ના પ્રમુખ કમલવિજય તુલસ્યાન, SGTPAના પ્રમુખ જિતેન્દ્ર વખારીયા સહિત આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે