સરસ્વતીના ધામમાં વેપાર: વાલીઓને 20% વધારામાં ખરીદવા દબાણ
સુરત, 30 મે (હિ.સ.)-સુરત સહિત સમગ્ર રાજ્યમાં શાળાઓમાં હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે અને આગામી દિવસોમાં વેકેશન પુરૂં થતાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. જો કે, શહેરની ખાનગી શાળાના સંચાલકો દ્વારા નવા શૈક્ષણિક સત્રનાં પ્રારંભ સાથે જ વાલીઓનાં ગજવાં
સરસ્વતીના ધામમાં વેપાર: વાલીઓને 20% વધારામાં ખરીદવા દબાણ


સુરત, 30 મે (હિ.સ.)-સુરત સહિત સમગ્ર રાજ્યમાં શાળાઓમાં હાલ ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે અને આગામી દિવસોમાં વેકેશન પુરૂં થતાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. જો કે, શહેરની ખાનગી શાળાના સંચાલકો દ્વારા નવા શૈક્ષણિક સત્રનાં પ્રારંભ સાથે જ વાલીઓનાં ગજવાં પર કાતર ફેરવવાનો કારસો રચવામાં આવ્યો હોવાનાં આક્ષેપ સાથે આજે સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસો. દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. સ્ટેશનરીનો ધંધો કરનાર વેપારીઓએ આ દરમિયાન જણાવ્યું હતું કે, ખાનગી શાળાના સંચાલકો દ્વારા વાલીઓને ફરજીયાત શાળામાંથી જ યુનિફોર્મની સાથે ચોપડા અને સ્ટેશનરી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જેને પગલે શહેરમાં સ્ટેશનરીનો વેપાર કરનારાઓને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય વાલીઓ પાસેથી ખાનગી શાળાઓ દ્વારા 20 ટકા સુધી મોંઘા ભાવે સ્ટેશનરીનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

શહેરમાં સરસ્વતીનાં ધામના નામે વાલીઓને લૂંટવા માટેની હાટડી ખોલનાર શાળા સંચાલકો વિરૂદ્ધ સ્ટેશનરીનાં વેપારીઓ દ્વારા મોરચો ખોલવામાં આવ્યો છે. સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસીએશન દ્વારા આજે જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન પત્ર પાઠવીને શાળા સંચાલકો દ્વારા વાલીઓ સાથે કરવામાં આવી રહેલી ઉઘાડી લૂંટ મુદ્દે પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વેપારીઓએ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, વર્ષેદહાડે વિદ્યાર્થીઓની હજારો રૂપિયાની ફીસ ભરનારા વાલીઓને લુંટવા માટે ખાનગી શાળાના સંચાલકો એક તક પણ જતી કરતાં નથી. ખાનગી શાળાના સંચાલકો દ્વારા યુનિફોર્મની સાથે - સાથે ચોપડા અને સ્ટેશનરી લેવા માટે પણ વાલીઓ પર દબાણ કરવામાં આવે છે. આટલું જ નહીં બજાર ભાવ કરતાં પણ 20 ટકા સુધી મોંઘા ભાવે સ્ટેશનરી અને ચોપડાઓ વાલીઓને પધરાવવામાં આવી રહ્યા છે. આ સિવાય કેટલીક શાળાઓ દ્વારા તો ચોક્કસ દુકાનો પરથી જ સ્ટેશનરી અને ચોપડા લેવા માટે પણ વાલીઓને દબાણ કરવામાં આવી છે. જેને પગલે શહેરમાં સ્ટેશનરી અને ચોપડાનો વેપાર કરતાં નાના - નાના વેપારીઓને ભારે આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે. આવેદન પત્રમાં વેપારીઓએ પોતાનો આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, ખાનગી શાળા સંચાલકો દ્વારા આ પ્રકારે કરવામાં આવતી ઉઘાડી લૂંટ પર અંકુશ મુકવાની સાથે વાલીઓ સ્વતંત્રપણે ચોપડા અને સ્ટેશનરીની ખરીદી ગમે તે દુકાનેથી કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande