પાટણ, 31 મે (હિ.સ.)પાટણ નગરપાલિકાએ શહેરના 23 ધાર્મિક સ્થળોને દબાણ દૂર કરવાની નોટિસ આપી છે. નગરપાલિકાએ દરેક ધાર્મિક સંસ્થાના ટ્રસ્ટીઓને 15 દિવસની અંદર જમીનની માલિકી અને બાંધકામની મંજૂરીના પુરાવા રજૂ કરવાનો આદેશ આપ્યો છે. નક્કી કરેલી સમયમર્યાદામાં પુરાવા ન આપી શકાય, તો દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ મુદ્દે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. પાર્ટીએ આવેદનમાં જણાવ્યું કે, પાટણ એક ઐતિહાસિક અને ધાર્મિક નગરી છે, જ્યાં વિવિધ ધર્મના લોકો ભાઈચારા સાથે વસવાટ કરે છે અને તહેવારોની ઉજવણી કરે છે. શહેરમાં ધર્મને અનુરૂપ અનેક અનોખાં સ્થાપત્યો આવેલાં છે, જે પાટણનું ગૌરવ છે.
આમ આદમી પાર્ટીએ, નગરપાલિકાને આપેલ તમામ નોટિસો પાછી ખેંચવાની માંગણી સાથે એ પણ જણાવ્યું છે કે, કોઈ ધાર્મિક સ્થળને નુકસાન ન પહોંચે તેવી જાહેરાત કરવામાં આવે. જો નગરપાલિકા દ્વારા કોઈ ધર્મસ્થળને નુકસાન થશે તો પાર્ટી વિરોધ નોંધાવશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર