વડોદરા, 31 મે (હિ.સ.)-વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા દરબાર ચોકડી બ્રિજ પર આજે બપોરે કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બંને વાહન ચાલકો વચ્ચે જાહેરમાં ઝઘડો થયો અને વાત મારામારી સુધી પહોંચી હતી. ઘટનામાં મહિલાએ પણ કાર ચાલકને તમાચો મારતા લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું અને બ્રિજ પર ટ્રાફિકજામ સર્જાયો હતો.
માહિતી મુજબ, કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતો મોપેડ ચાલક કાર સાથે ટકરાયો હતો. બંનેએ નાની બાબતે ઉગ્ર વિવાદ શરૂ કર્યો હતો, જે થોડા સમયમાં હિંસાત્મક બન્યો હતો. ઝઘડામાં જોડાયેલી એક મહિલાએ તમાચો મારતા આસપાસના લોકોનું ધ્યાન આકર્ષાયું અને ટ્રાફિક જામ થઈ ગયો હતો.
ઘટનાની જાણ મળતાં, માંજલપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે બંને પક્ષોને શાંતિપૂર્વક છૂટા પાડી ટ્રાફિક નિયમિત કર્યો હતો. ત્યારબાદ બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે