વડોદરા, 1 જૂન (હિ.સ.)-બરોડા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર (MD) અજયકુમાર જોશીનું રાજીનામું ડેરીના બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. જો કે તેમણે એપ્રિલ મહિનામાં અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું, તેમ છતાં ફેડરેશન તરફથી નવા અધિકારીની નિમણૂક ન થાય ત્યાં સુધી તેઓને પદ પર યથાવત રાખવામાં આવ્યા હતા.
હવે, અમૂલના અધિકારી હિમાંશુ ભટ્ટની નવી નિમણૂક બાદ બોર્ડ મીટિંગે જોશીનું રાજીનામું સ્વીકારી લીધું છે. જો કે, તેઓ આગામી એક મહિના સુધી નવો અધિકારી કામ સારી રીતે સંભાળી શકે તે માટે ફરજ પર રહેશે.
આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે બરોડા ડેરીમાં દૂધ મંડળીઓના હિસાબો અને વહીવટમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયેલા છે. ધારાસભ્યો કેતન ઈનામદાર અને અજીત ઠાકોરે પણ આ મુદ્દા પર ગંભીર શંકાઓ વ્યક્ત કરી હતી, જેમાં મૃત વ્યક્તિઓના નામે દૂધ ભરાવાની સ્કીમ અને ગેરવહીવટનો સમાવેશ થાય છે.
હવે હિમાંશુ ભટ્ટ સમક્ષ ડેરીના વહીવટમાં સુધારા લાવવાનો અને પારદર્શિતા સ્થાપિત કરવાનો મોટો પડકાર રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે