પાટણ, 12 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની સ્થિતિ હવે સ્પષ્ટ બની ગઈ છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પછી, કુલ 310 ગ્રામ પંચાયતોમાંથી 89 પંચાયતો સમરસ જાહેર થઈ છે, જ્યારે બાકીના 221 પંચાયતોમાં હવે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં સરપંચ પદ માટે 616 અને સભ્ય પદ માટે 1221 ઉમેદવારો મેદાનમાં છે.
જિલ્લાની 70 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાનાર છે, જેમાંથી 5 પંચાયતોમાં સરપંચ અને 26 સભ્યો બિનહરીફ જાહેર થયા છે. વિચિત્ર વાત એ છે કે 55 પંચાયતોમાં સરપંચ અને સભ્ય પદ માટે કોઈપણ ફોર્મ ભરાયું ન હતું. હવે માત્ર 14 પંચાયતોમાં ચૂંટણી યોજાશે.
તાલુકાવાર જોવામાં આવે તો, સાંતલપુર તાલુકાની 33 પંચાયતોમાંથી 7 પંચાયતો (બોરુડા, ચારંડા, ફુલપુરા, સાદપુરા, ઉનરોટ, અબિયાણા, રાજુસરા) સમરસ બની છે. ખાસ કરીને અબિયાણા ગામે સરપંચ પદના બંને ઉમેદવારો વચ્ચે સહમતિથી રંગુબેન નાડોદા બિનહરીફ જાહેર થયા હતા. હવે સાંતલપુરમાં 26 પંચાયતોમાં ચૂંટણી રહેશે. હારિજ તાલુકાની 35 પંચાયતોમાંથી 12 ગામો સમરસ બન્યા છે જેમ કે જમણપુર, બોરતવાડા, થરોડ વગેરે. બોરતવાડા અને થરોડમાં હરીફ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા વધુ ત્રણ ગામો સમરસ બન્યા છે. હવે હારિજમાં 23 પંચાયતોમાં મતદાન થશે.
સરસ્વતી તાલુકાના જામઠા ગામે સરપંચ પદ માટે ભરાયેલા છમાંથી પાંચ ફોર્મ પાછા ખેંચાતા પંચાયત સમરસ જાહેર થઈ છે. ઘચેલી ગામે સરપંચ સહિત સાત વોર્ડ બિનહરીફ થયા છે અને એક વોર્ડ માટે ચૂંટણી રહેશે. પાટણ તાલુકામાં સૌથી વધુ 19 પંચાયતો સમરસ બની છે. અહીં કુલ 52માંથી 19 પંચાયતોના સરપંચ અને 345 સભ્યો બિનહરીફ છે, જ્યારે 35 પંચાયતોમાં સરપંચ માટે 89 અને સભ્ય માટે 197 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર