પાટણ, 12 જૂન (હિ.સ.) : પાટણ તાલુકાના મણુંદ ગામમાં 20 મેએ એક દુઃખદ અકસ્માતમાં 19 વર્ષીય આરતીબેન મુકેશભાઈ દેવીપૂજકનું મોત થયું હતું. આરતીબેન અન્ય મહિલા મજૂરો સાથે ખેતરમાં મજૂરી માટે રાજુભાઈ પટેલના થ્રેસર સાથે જોડાયેલા ટ્રેક્ટરમાં જઈ રહી હતી. તે ટ્રેક્ટર અને થ્રેસરની વચ્ચે જોઈન્ટ હુક પર ઊભી હતી, જ્યાં તેમને ટ્રેક્ટર ચાલક અઘાભાઈએ ઊભી રાખી હતી.
મંદિર પાસે ટ્રેક્ટર વળાંક લેતી વખતે આરતીબેન નીચે પડી ગઈ અને થ્રેસરના ટાયરમાં આવી જતાં ગંભીર રીતે ઘાયલ થઈ. તેમને પ્રથમ ધારપુર હોસ્પિટલ, ત્યારબાદ અમદાવાદ સિવિલ અને અંતે મહેસાણાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
આ બનાવ બાદ સામાજિક સમાધાનની કોશિશો શરૂ થતાં તાત્કાલિક પોલીસ ફરિયાદ કે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું નહતું. 20 દિવસ બાદ જ્યારે સમાધાન શક્ય ન બન્યું, ત્યારે આરતીબેનના પિતાએ રણુંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર