ગાંધીનગર, 16 જૂન (હિ.સ.) : ભારતીય વિચાર મંચ, ગાંધીનગર કેન્દ્ર દ્વારા વિદ્યાભારતી પ્રશિક્ષણ કેન્દ્ર, સેક્ટર 22 ખાતે ડૉ. શ્રુતિબેન આણેરાવ (લેખિકા, ચિંતક, સામાજિક કાર્યકર) દ્વારા દેવી અહિલ્યાબાઈ હોળકર: એક આદર્શ રાજનીતિજ્ઞ અને કુશળ શાસનકર્તા વિષય ઉપર વિચાર ગોષ્ઠિનું આયોજન થયું.
કાર્યક્રમના પ્રારંભમાં કેન્દ્રના ઉપાધ્યક્ષ દિપકભાઈ રાઠોડ દ્વારા વક્તાનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
ડૉ. શ્રુતિબેન આણેરાવ એ તેમના વક્તવ્યના પ્રારંભમાં પુણ્યશ્લોક અહલ્યાબાઈના જન્મ, પરિવાર, પતિ, પુત્ર, સસરા તેમજ તેમના જીવનની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, અહલ્યાબાઇ શિવજીના ખૂબ મોટા ભક્ત હતા, તેમણે બાર જ્યોતિર્લિંગ, ચારધામનો જીર્ણોધાર તેમજ દેશના અનેક વિસ્તારમાં કુવા, તળાવ, રસ્તા, પર્યાવરણ, રોજગારી સહિત અનેક મુદ્દે કાર્ય કર્યું હતું. તેમણે માત્ર પોતાના પ્રદેશથી સીમિતના રહેતા સમગ્ર ભારતમાં અનેક મંદિરોનો જીર્ણોધાર કરાવ્યો હતો અનેક સ્થળે દાન આપ્યું હતું, જમીન આપીને મંદિરો પણ બનાવ્યા, સંસ્કૃત પાઠશાળાઓ શરૂ કરવી હતી.
તેમણે વધુ ઉમેરતા જણાવ્યું કે માતા અહિલ્યાબાઈ, નિત્ય દરેક જ્ઞાતિના 300 લોકો સાથે જ ભોજન કરતા હતા. તેમણે મહિલાઓ માટે ખૂબ કાર્ય કરીને, રોજગારી માટે માહેશ્વરી સાડી - ટેક્સ્ટાઇલ માર્કેટ માટે કાર્ય કર્યું હતું. આ ઉપરાંત વિધવાની સંપત્તિ પહેલા, જે રાજ્યમાં જમા થઈ જતી હતી તે ના થાય અને જીવનનિર્વાહ કરી શકે, તે માટે કાયદો બનાવ્યો હતો. સ્ત્રીઓને લશ્કરમાં સામેલ કરી હતી.
આજના સમયમાં ગુડ ગવર્નસ, ઇસ ઓફ ડુઈંગ બિઝનેસ, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા જેવા મુદ્દાઓ ઉપર તેમણે એ સમયે કાર્ય કર્યું હતું. તેઓ આર્થિક પાવર તો ખરું જ પણ સોફ્ટ પાવર - આપણી સંસ્કૃતિને જાળવીને ધર્મથી કાર્યો કરતા હતા.
આમ, ડૉ. શ્રુતિબેન આણેરાવ એ લોકમાતા અહલ્યાબાઈ વિશે સમગ્ર જીવનની માહિતી આપી અને આજના સમયમાં આપણે તેને કઈ રીતે આપણા જીવનમાં ઉતારી શકીએ તે અંગે સરળ દરેકને સમજાય તે રીતે પોતાનું વ્યાખ્યાન આપ્યું હતું.
કાર્યક્રમના અંતે કેન્દ્રના મંત્રી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન સહમંત્રી અજયભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 40 પ્રબુધ્ધજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ