પાટણ, 17 જૂન (હિ.સ.) : વર્ષ 1991માં સ્થાપિત થયેલી પાટણના હાંસાપુર વિસ્તારમાં આવેલી જ્યોતિ નગર સોસાયટી શરૂઆતમાં હાંસાપુર ગ્રામ પંચાયત હેઠળ હતી. તે સમયગાળા દરમ્યાન કોઈપણ માળખાકીય સુવિધાઓ પંચાયત દ્વારા આપવામાં આવી ન હતી.
2016માં રાજ્ય સરકારના જાહેરનામા હેઠળ આ વિસ્તાર પાટણ નગરપાલિકામાં સમાવવામાં આવ્યો હતો, પરંતુ આજદિન સુધી નગરપાલિકા દ્વારા સી.સી. રોડ, સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. ખાસ કરીને ચોમાસા દરમ્યાન વરસાદી પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને રોગચાળાની દહેશત છવાઈ રહી છે.
આ સમસ્યાઓથી પરેશાન રહીશો દ્વારા નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારને આવેદનપત્ર પાઠવીને નગરપાલિકાની ગ્રાન્ટમાંથી સી.સી. રોડ, સ્ટ્રીટ લાઈટ અને વરસાદી પાણીના નિકાલ જેવી આવશ્યક સુવિધાઓ ઊભી કરવાની માંગણી કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર