પાટણ, 17 જૂન (હિ.સ.)પાટણ શહેર અને આસપાસના 70 ગામોને શુદ્ધ પીવાનું નર્મદાનું પાણી પૂરું પાડતા સિદ્ધિ સરોવરમાં હવે નવો વિવાદ ઊભો થયો છે. માર્ગ અને મકાન વિભાગે પાટણ નગરપાલિકા પાસે હાઈવે પરના વરસાદી પાણીના નિકાલ માટે સિદ્ધિ સરોવરનો ઉપયોગ કરવાની મંજૂરી માગી છે. સુદામા ચોકડીથી સંખારી ત્રણ રસ્તા સુધીના હાઈવેના રિસરફેસિંગ કામ માટે આ યોજના વિચારવામાં આવી છે. જેમાં હાઈવેની બંને બાજુ આરસીસી બોક્સ વોટર ડ્રેન બનાવવાના છે અને કિ.મી. 88/800 થી 89/200 સુધીના વિસ્તારમાં પાઈપલાઇન મારફતે સિદ્ધિ સરોવરમાં પાણી છોડવાનું આયોજન છે.
જો કે, આ યોજના સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સિદ્ધિ સરોવર પહેલેથી જ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. લોકો નહેરમાં કપડાં ધોવે છે, વાહનો ધોઇ રહ્યા છે અને સ્નાન કરે છે. તે ઉપરાંત તળાવમાં પૂજા સામગ્રી અને અન્ય અશુદ્ધ પદાર્થો પણ ફેંકવામાં આવે છે, જેના કારણે પાણીની ગુણવત્તા પર ખોટો અસર થાય છે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે સિદ્ધિ સરોવર નગરપાલિકા હસ્તક નથી પણ રાજ્ય સરકારની માલિકી ધરાવે છે. તેથી માર્ગ અને મકાન વિભાગે આ યોજના માટે કલેક્ટરનો અભિપ્રાય લેવાનું જરૂરી બન્યું છે. વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરે 10 દિવસ પહેલા પાટણ નગરપાલિકા પાસેથી લેખિત અભિપ્રાય માંગ્યો હતો.
આ મુદ્દે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું કે, માર્ગ મકાન વિભાગે સિદ્ધિ સરોવર માટે અભિપ્રાય માંગ્યો છે, પણ અમે કોઈ પણ મંજૂરી આપવાના નથી. અમે સાથે બેસીને વરસાદી પાણીના નિકાલ માટે અન્ય વિકલ્પ શોધવા ચર્ચા કરશું.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર