જુનાગઢ 17 જૂન (હિ.સ.) સમગ્ર ભારતમાં જેને પાણીદાર મહિલા તરીકે ઓળખવામાં આવે છે તેવા 'વૉટર વુમન ઓફ ઇન્ડિયા' શિપ્રા પાઠક આજે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે રીતે નદી અને ભુતળનાં જળસ્તર અને પર્યાવરણની સાથે વૃક્ષોનું પ્રમાણ ઘટી રહ્યુ છે તેને લઈને શિપ્રા પાઠક એક વિશેષ અભિયાન યુનિવર્સિટીઓનાં કુલગુરૂઓનાં સહયોગ સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મારફતે શરૂ કરવા જઈ રહ્યા છે. તાજેતરમાં શિપ્રા પાઠકે સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી બાદ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કૂલપતિ ડો.અતુલ એચ. બાપોદરા અને કૂલસચિવ ડો. મયંક સોની અને યુનિ.નાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને આગામી દિવસો માં નદીને પ્રદુષિત થતી અટકાવવાની સાથે વૃક્ષોનું પ્રમાણ વધે તે પ્રકારનું મહા અભિયાન શરૂ કરવા અંગે ચર્ચા સમીક્ષા કરી અભિયાનની તૈયારી અંગે જાણકારી આપી હતી.
ઉત્તર પ્રદેશનાં બદાયુ જિલ્લાનાં નાનકડા દાતાગંજ ગામે જન્મેલ શિપ્રા પાઠકને 'વૉટર વુમન ઓફ ઇન્ડિયા'નું ઉપનામ મળ્યું છે. શિપ્રા પાઠકે પર્યાવરણ નદી અને વૃક્ષોનું સંચય થાય અને તે પ્રદૂષણથી મુક્ત રહે તે માટે વિશેષ અભિયાન શરૂ કર્યું હતું, જેને લઈને તેમને 'વૉટર વુમન ઓફ ઇન્ડિયા'ના ઉપનામ તરીકે પણ ઓળખવામાં આવે છે.
૨૦૦૦ની સાલમાં શિપ્રા પાઠકે પર્યાવરણની સાથે કુદરતી પાણીના સૌથી મોટા અને પવિત્ર સંગ્રહસ્થાન એવી નદીઓ અને વૃક્ષોનું જતન થાય તે માટે ખાસ અભિયાન શરૂ કર્યું હતું.આ અભિયાન આજે ૨૫માં વર્ષે પહોંચ્યું છે ત્યારે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આવેલી નદીઓ અને આ વિસ્તારના આવેલા પર્યાવરણ શુદ્ધ અને સમૃદ્ધ થાય તે માટે આગામી દિવસોમાં શિપ્રા પાઠક વિશેષ માસ્ટર પ્લાન સાથે ગુજરાતમાં કામ કરવાની ઈચ્છા ધરાવે છે. શિપ્રા પાઠક જણાવે છે કે, ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ન માત્ર પરીક્ષામાં પાસ થવા માટે પર્યાવરણ જેવા વિષયો પર અભ્યાસ કરે પરંતુ વાસ્તવિક રીતે વિદ્યાર્થીઓ પર્યાવરણની સાથે વૃક્ષોનું જતન અને કુદરતી રીતે સ્વચ્છ અને મીઠા પાણીના સ્ત્રોત સમાન નદીઓનું સંવર્ધન કરે તે માટે કાર્ય કરે અને અભ્યાસ મેળવે. જે માટે વિદ્યાર્થીઓને શાળા કોલેજમાં પણ તે વિશેનું શિક્ષણ આપવામાં આવે. આમ કરવાથી વિદ્યાર્થી ભવિષ્યનો કોઈ મોટો અધિકારી નેતા કે રાજનેતા બને ત્યારે તે જળ સંચયની સાથે વૃક્ષો વાવવા અને પર્યાવરણ પ્રત્યે આટલો જ સજાગ રહે. આજ ઉદેશ્ય સાથે શિપ્રા પાઠક આગામી દિવસોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ, નદીઓને પવિત્ર રાખવા જેવા અભિયાનમાં જોડીને પર્યાવરણને શુદ્ધ કરવાની દિશામાં એક નવતર પહેલ કરવાની શરૂઆત કરશે.
શિપ્રા પાઠક નદીઓના શુદ્ધિકરણ અને વૃક્ષો ઉગાડવા જેવા પર્યાવરણ લક્ષી કામોમાં સતત જોડાયેલા જોવા મળે છે. તાજેતરમાં જ પ્રયાગરાજ ખાતે પૂર્ણ થયેલા સદીના મહાકુંભમાં તેમના દ્વારા ૧૭ લાખ કાપડની બેગ અને ૧૫ લાખની સંખ્યામાં ભોજન કરવા માટેની સ્ટીલની પ્લેટો પ્રયાગરાજ મહાકુંભમાં આવેલા ભાવિકોને વિતરણ કરીને પ્લાસ્ટિક ડીશ અને પ્લાસ્ટિકના થેલાથી મહાકુંભના મેળાને મુક્ત કરવાનું અભિયાન પૂર્ણ કર્યું હતું. મહાકુંભના મેળામાં શિપ્રા પાઠક દ્વારા 'એક થાળી એક થેલા' જેવું સૂત્ર પણ લોકોને આપવામાં આવ્યું હતું.
શિપ્રા પાઠકે અત્યાર સુધીમાં ૧૩૦૦૦ કિલોમીટરની પદયાત્રા પણ કરી છે. જેમાં વર્ષ ૨૦૨૪માં અયોધ્યાથી રામેશ્વર સુધીની ૩૯૫૨ કિલોમીટરની પદયાત્રાનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન તેમણે ૨૫ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર અને આટલી જ સંખ્યામાં વૃક્ષોનું દાન કરીને લોકોને પર્યાવરણ પ્રત્યે સજાગ કર્યા છે. શિપ્રા પાઠકે ૩૫૦૦ કિમીની નર્મદા પદયાત્રા કરીને લોકોને નદીના શુદ્ધિકરણને લઈને પણ જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. પીલીભીત થી બનારસના કૈથી ધામ સુધી ૯૬૦ કિલોમીટરની પદયાત્રા દરમિયાન શિપ્રા પાઠકે ૨૫ લાખ વૃક્ષોના વાવેતર માટે વૃક્ષના છોડનું વિતરણ કર્યું છે. સેકડો તળાવોને ગોદ લઇ નવસાધ્ય કર્યા છે, રામસ્તંભ સમીપ જાનકી વાટિકાના નિર્માણાધિન કાર્યમાં સહયોગ પૂરો પાડ્યો છે.
ભક્તકકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કૂલપતિ ડો.અતુલ બાપોદરાએ સુ શિપ્રાા પાઠકને યુનિ. ભવન ખાતે પુષ્પ સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી આવકારતા જણાવ્યુ હતુ કે દેશની સંસ્કૃતિ અને અધ્યાત્મથી જેમનું જીવન જોડાયેલ છે, તેવા શિપ્રા પાઠકજી પોતાની પદયાત્રા દરમિયાન સમાજને પ્રકૃતિનો સંદેશો આપી રહ્યા છે, પ્રકૃતિ પર્યાવરણ અને જળ સંરક્ષણ માટે જેમનું જીવન સમર્પિત છે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં નદીઓ પવિત્ર રહે અને વૃક્ષોની સંખ્યા વધે તે માટે તેમનું સંગઠન કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે મળીને કરવાનું આયોજન સરાહનિય છે.
યુનિ.નાં રજીસ્ટ્રાર ડો. મયંક સોનીએ વોટર વુમન શિપ્રા પાઠકને સુતરની આંટી અર્પણ કરી સ્ત્કાર્યા હતા. અને યુનિ. સ્ટાફ પરિવાર અને કુલપતિ ડો. બાપોદરા સાથે યુનિ. પરિસરમાં વૃદા અને આમ્રફળ વૃક્ષતરૂનું વાવેતર કરી યુનિ.નાં નિર્માણાધિન નુતનભવનનનાં પરિસરમાં થયેલ વૃક્ષોનાં વાવેતરની જાત જાણકારી મેળવી હતી.
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.ની મુલાકાત દરમ્યાન યુનિ. પરિસર અને ગિરનાર પર્વત માળાની હરીયાળીથી પ્રભાવિત શિપ્રા પાઠકે યુનિ.નાં પ્રકૃતિપ્રેમી અધિકારી અને કૂલપતિને બિરદાવતા જણાવ્યુ હતુ કે પાણી અને પર્યાવરણીય સંરક્ષણ. અમારુ સંગઠન, પંચતત્વ, ૧૫ લાખ સભ્યો ધરાવે છે અને નદી કિનારે છોડ રોપવાની સુવિધા આપે છે.સ્વચ્છ સરીતા સુનિશ્ચિત કરવા માટે નદીઓને મશીનો અને વ્યાપારીકરણથી સાફ કરી શકાય છે, પરંતુ સાંસ્કૃતિક સંરક્ષણ અંગે શિપ્રા પાઠકે કહ્યું. નદીઓ અને જંગલોને બચાવવા માટે પોતે સમર્પિત ભાવથી કાર્ય કરી રહ્યા છે.અત્યાર સુધીમાં ૧૧ રાજ્યોનો પ્રવાસ કરી ૯ કુલાધિપતીની મુલકાત કરી ૨૧ જેટલી યુનિ.નાં કૂલપતિશ્રીઓને મળી વૃક્ષારોપણ દ્વારા પ્રકૃતિ પર્યાવરણ અને જળસંરક્ષણ ક્ષેત્રે લોકજાગૃતિનાં કાર્યો હાથ ધર્યા છે.
જૂનાગઢ કૃષિ. યુનિ. ખાતે કસ્તુરબા ગાંધી હોસ્ટેલ પ્રાંગણમાં વૃક્ષોનું વાવેતર કરી કૃષિ કોલેજનાં મધ્યસ્થખંડમાં સુશ્રી શિપ્રા પાઠકે પર્યાવરણ, પ્રકૃતિ અને જળસંચય- જળસિંચન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતુ. આ પ્રસંગે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં કુલપતિ ડો.અતુલ બાપોદરા, જુકૃયુના સંશોધન નિયામક ડો.એ.જી. પાનસુરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એન.બી. જાદવ, વિદ્યાર્થી કલ્યાણ સમિતિના ડો.આર. એમ. સોલંકી,ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજીસ્ટાર ડો. મયંક સોની, કૃષિ કોલેજના આચાર્ય ડો.પી.ડી. કુમાવત, કૃષિ ઇજનેરી કોલેજના આચાર્ય અને ડીન ડો.એચ.ડી . રાંક, હોર્ટીકલ્ચર કોલેજના આચાર્ય ડો.ડી.કે. વરુ, ડો. હરિ શંકર સિંહ, પ્રગતિશીલ ખેડૂત પરસોત્તમભાઈ સિદ્ધપરા સહિત પર્યાવરણ અને પ્રકૃતિ સાથે કામ કરતા પ્રકૃતિવીદો ઉપસ્થિત રહ્યા હતા
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ