જિલ્લા સેવા સદન ખાતે રાષ્ટ્રીય એકતા પરિસંવાદ થકી, સરદાર વલ્લભભાઈ પટેલના જીવનચરિત્રને રજૂ કરાયું
ગીર સોમનાથ, 22 જૂન (હિ.સ.) જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે રાષ્ટ્રીય એકતા પરિસંવાદ અંતર્ગત આધુનિક ભારતના શિલ્પકાર લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન-કવનને શાબ્દિક રીતે રજૂ કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદ અંતર્ગત અખંડ ભારતના નિર્માણમાં વલ્લભભાઈના ભગીરથ યો
જિલ્લા સેવા સદન ખાતે રાષ્ટ્રીય એકતા પરિસંવાદ થકી, સરદાર વલ્લભભાઈ પટેલના જીવનચરિત્રને રજૂ કરાયું


ગીર સોમનાથ, 22 જૂન (હિ.સ.) જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે રાષ્ટ્રીય એકતા પરિસંવાદ અંતર્ગત આધુનિક ભારતના શિલ્પકાર લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન-કવનને શાબ્દિક રીતે રજૂ કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદ અંતર્ગત અખંડ ભારતના નિર્માણમાં વલ્લભભાઈના ભગીરથ યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.

શિક્ષક દિપકભાઈ નિમાવતે રાષ્ટ્રીય એકતા માટે પોતાનુ સંપૂર્ણ જીવન અર્પણ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન-કવન શાબ્દીક રીતે વર્ણવી અને રાષ્ટ્રીય એકતા અંગે પોતાના મનનીય વિચારો રજૂ કર્યા હતાં

આઝાદી પહેલાનું ભારત અને આઝાદ થયા બાદ તુરંત જ ભારતને એક અને અખંડ રાખવા માટે જે પડકારો ઊભા થયા હતાં અને ભારતની રાષ્ટ્રીય એકતાને તોડવા માટેના જે પ્રયત્નો થયાં હતા તેના વિશે વિષદ વાત શિક્ષક નિમાવતે કરી હતી.

ભારત આઝાદ થયું ત્યારે જૂનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીર ભારત દેશમાં વિલીન થવા માંગતા ન હતાં અને તે વખતે જે પરિસ્થિતિ નિર્માણ થઈ હતી તેનું હૂબહુ વર્ણન કરીને તત્કાલીન પરિસ્થિતિનો ચિત્તાર આપ્યો હતો અને જણાવ્યું હતું કે, ત્યાગ, સમર્પણ, કર્તવ્યભાવના અને રાષ્ટ્રભક્તિના પાયા થકી સરદારે ભવ્ય ભારતની ઈમારતનું નિર્માણ કર્યું છે.

વક્તાએ સરદારભાઈ પટેલની અડગતા, મક્કમતા, દ્રઢનિશ્ચય અને સાદગીના વખાણ કરતા જણાવ્યું હતું કે આવું વિરલ વ્યક્તિત્વ સદીઓમાં ફક્ત એક જ વખત અવતાર લેતું હોય છે. ભારતના સદભાગ્ય છે કે, આવું મક્કમ વ્યક્તિત્વ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી બન્યાં.

સરદારે તેમની આગવી અસરકારકતા સાથે ભાવનગર સહિતના રજવાડાઓને ભારત દેશમાં એકીકરણ સાથે ભારતથી અલગ થવા ઈચ્છતાં જૂનાગઢને જનમત દ્વારા અને હૈદરાબાદને પોતાની વિચક્ષણ બુદ્ધિક્ષમતાથી અખંડ ભારતમાં ભેળવી આજે દેખાતું ભારત બનાવ્યું હતું.

જમ્મુ કાશ્મીરના રાજા હરિસિંહને પણ તેઓ તેમની અસ્કયામત છોડવા માગતા હોય તો ભારત તરફથી તેમને કોઈ પણ પ્રકારની મદદની અપેક્ષા રાખવી નહીં તેવું સ્પષ્ટપણે જણાવી દીધું હતું.

ખેડૂત પરિવારમાં જન્મેલા આવાં સરદાર પારિવારિક ગુણો અને લક્ષણો સાથે તે સમયમાં ઇંગ્લેન્ડમાં જઈને બેરિસ્ટર બન્યાં અને પોતાની ધીકતી વકીલાતની પ્રેક્ટિસ વચ્ચે ગાંધીજીના વિચારોથી પ્રભાવિત બનીને આઝાદીના આંદોલનમાં જોડાયાં.

ઇંગ્લેન્ડમાં પણ બારમાઈલની પગપાળા મુસાફરી કરીને બેરિસ્ટરશીપ હાંસલ કરી. ભારતના ગૃહ મંત્રી હોવા છતાં તેમના મૃત્યુ બાદ ફક્ત નજીવી રકમ અને એક પતરાની પેટી સિવાય કોઈ સંપત્તિ નહોતી.

આજે આપણે સૌ ભારતમાતાનું એક અને અખંડ સ્વરૂપ જોઈએ છે, તેની પાછળ સરદાર વલ્લભભાઈ પટેલની અડગતાં, મક્કમતા અને આગવી મિસાલ પ્રસ્તુત કરતી કૂનેહ છે.

આવા અસરદાર સરદારને યાદ કરીને દેશ માટે તેમણે કરેલા પ્રદાનને યાદ રાખીએ તે જ તેમને સાચી અંજલી ગણાશે તેમ જણાવી અખંડ ભારતના નિર્માણ માટે સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન દેશવાસીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે. એમ શ્રી દિપકભાઈએ ઉમેર્યું હતું.

આ અવસરે, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande