ગીર સોમનાથ 22 જૂન (હિ.સ.) મતદાન પ્રક્રિયા એ લોકશાહીનો આધારસ્તંભ છે. લોકશાહીના આ અવસરને મજબૂત બનાવવા માટે તમામ લોકો મતરૂપી પોતાનું યોગદાન આપે એ અત્યંત જરૂરી છે. મતદારોને કોઈ અગવડતા ન પડે તે માટે વહીવટી તંત્રએ સુચારૂ વ્યવસ્થા ગોઠવી છે. જેથી મતદારો સરળતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે.
જેમ મતદાન પ્રક્રિયા લોકશાહીનો આધારસ્તંભ છે, એ રીતે કોડિનાર તાલુકાના માઢવાડ ગામે દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી દોરી દિવ્યાંગ મતદારો માટે પોલીસતંત્ર એક મજબૂત આધારસ્તંભ બન્યું હતું.પી.એસ.આઈ. એચ.એલ.જેબલિયા અને તેમની ટીમ દ્વારા દિવ્યાંગ મતદારોને કોઈપણ પ્રકારની અગવડતાં ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના નેતૃત્વમાં તમામ તાલુકાઓમાં એ.એસ.પી અને ડી.વાય.એસ.પી કક્ષાના અધિકારીઓ સહિત પોલીસ જવાનો કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તો ચુસ્ત બંદોબસ્ત તો ગોઠવાયો જ છે સાથે જ કોઈ મતદારોને અગવડતા ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ