મોડાસા, 27 જૂન (હિ.સ.) અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના હફસાબાદ અને સાયરા પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ - 2025ના બીજા દિવસે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી ભીખુસિંહજી પરમારે નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણની સફરની શરૂઆત કરાવી. આ કાર્યક્રમ ગુજરાત સરકારના “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ”ના સ્લોગન સાથે ઉજવવામાં આવી રહ્યો છે.જેમાં શિક્ષણના મહત્વને પ્રોત્સાહન આપવા અને બાળકોમાં શાળા પ્રત્યે ઉત્સાહ જગાડવાનો મુખ્ય હેતુ છે.
નાના બાળકો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે શાળામાં પ્રવેશી રહ્યા હતા. શાળાને રંગબેરંગી ફુગ્ગાઓ, ફૂલો અને રંગોળીથી શણગારવામાં આવી હતી, જેનાથી વાતાવરણ આનંદમય બની રહ્યું હતું. મંત્રી એ બાળકોને શૈક્ષણિક કીટ, પુસ્તકોનું વિતરણ કરી તેમનું સ્વાગત કર્યું. આ ઉપરાંત, બાળકોને પ્રોત્સાહન આપવા માટે નાની ભેટ-સોગાદો પણ આપવામાં આવી.મંત્રી ભીખુસિંહજી પરમારે આ પ્રસંગે સંબોધન કરતાં જણાવ્યું કે, “ગુજરાત સરકાર શિક્ષણને પ્રાથમિકતા આપી રહી છે અને દરેક બાળક સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચે તે માટે પ્રયાસો કરી રહી છે. શાળા પ્રવેશોત્સવ બાળકોના શાળામાં પ્રવેશનો કાર્યક્રમની સાથે આખા સમાજના ઉત્થાનનો ઉત્સવ છે. શિક્ષણ દ્વારા જ આપણે બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકીએ છીએ.” તેમણે વાલીઓને પણ અપીલ કરી કે તેઓ પોતાના બાળકોના શિક્ષણમાં સક્રિય ભૂમિકા ભજવે અને શાળા સાથે સતત સંપર્કમાં રહે.
આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓ, શિક્ષકો, સાયરા કેળવણી મંડળ પ્રમુખ મહેન્દ્ર પટેલ તેમજ મંત્રી જીતેન્દ્ર પટેલ વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો, બાળકોના સુંદર નૃત્ય અને ગીતોની રજૂઆતો કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ