પાટણ, 27 જૂન (હિ.સ.) : પાટણના રાણકી વાવ વિસ્તારમાં એક વાંદરાએ હલચલ મચાવી દીધી હતી અને સાત જેટલા લોકોને ઘાયલ કર્યા હતા. ઘટના જાણ થતાં જ પાટણ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે સ્થળ તપાસ કરી વાંદરાની ઓળખ કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને દોઢ કલાકની સતત મહેનત બાદ અંતે વાંદરાને પકડી લેવામાં સફળતા મળી. વાંદરાની પકડ બાદ સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.
આ રેસ્ક્યુ ઓપરેશન નાયબ વન સંરક્ષક એન.જે. પરમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું હતું. તેમાં મદદનીશ વન સંરક્ષક ટી.એચ. ચૌધરી, પરિક્ષેત્ર વન અધિકારી પી.એમ. ચૌધરી, વેટરનરી ઓફિસર જે.જી. ભટોળ, વનપાલ વી.એલ. દેસાઈ, વન રક્ષક એસ.એસ. પરમાર, વન રક્ષક એ.એસ. ચૌધરી, વન રક્ષક એચ.પી. પટેલ સહિતનો રોજમદાર સ્ટાફ જોડાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર