ગાંધીનગર, 27 જૂન (હિ.સ.) : ગાંધીનગર સેકટર – 7 ભારતમાતા મંદિર, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર જિલ્લાના મંત્રી ગણપતસિંહ વાઘેલાએ ખાસ પારસમણિ ફાઉન્ડેશનને રંગોળી બનાવવા આમંત્રણ આપ્યું હતું. ગાંધીનગરના રસ્તા પર ભવ્ય રંગોળી પ્રથમવાર જ બનાવવામાં આવી હતી.
પારસમણિ ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ભારતમાતા મંદિર આગળ રસ્તા પર માત્ર 10 જણાએ મળીને 45 મિનિટમાં 108 ફુટની વિશાળ આકર્ષક રંગોળી બનાવી હતી. કુલ 31 કિલો રંગોળીનો ઉપયોગ કરીને આ રંગોળી બનાવવા આવી હતી. રંગોળી બનાવતા સભ્યોની કલા જોવા માટે રાહદારીઓ રોકાઈ જતા હતા. રથયાત્રા જ્યારે આવી પહોંચી ત્યારે આ રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી.
રથયાત્રાનું સ્વાગત કરવા રંગોળી કલાકારો શિસ્તબદ્ધ લાઈનમાં ઊભા રહ્યાં હતાં અને પંચદેવ મંદિરના શાસ્ત્રી ભાનુશંકર વ્યાસે રંગોળી બનાવવા બદલ પારસમણિ ફાઉન્ડેશનના અધ્યક્ષ સંજય થોરાતને હાર પહેરાવી આશીર્વાદ આપ્યા હતા.
ટૂંક સમયમાં આવી ભવ્ય રંગોળી બનાવવા આવી હતી જેમાં રૂચિ લતાડ, કૃપા વડાલિયા, અવની સંતોકી, પારૂલ મહેતા, લતા શુક્લ, જીનલ પંડ્યા, હેતલ દેસાઈ, ડૉ. હેતલ પટેલ, કોમલ તલાટી, મૌસમી ઓઝા, નિકુંજ વૈશ્યક અને સંજય થોરાતે સેવા આપી હતી. ટૂંક સમયમાં 108 ફુટની વિશાળ આકર્ષક રંગોળી બનાવવી એટલે એને જગન્નાથજીની કૃપા સમજવી રહી. ગાંધીનગરમાં પારસમણિ ફાઉન્ડેશને રંગોળી માટે એમની આગવી ઓળખ બનાવી છે.
આ પ્રસંગે ઉત્તર ગુજરાત પ્રાંત બજરંગદળ પ્રમુખ શક્તિસિંહ ઝાલા, સત્સંગ પ્રમુખ રાકેશભાઈ પટેલ, મહિલા ઉપાધ્યક્ષ અસ્મિતાબેન ચૌધરી, માત્રૃશકિત સંયોજીકા વૈશાલીબેન જોષી અને વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર જિલ્લા મંત્રી ગણપતસિંહ વાઘેલાએ રથયાત્રા સ્વાગત સાથે આ 108 ફુટની આકર્ષક રંગોળીનું આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પણ પારસમણિ ફાઉન્ડેશન દ્વારા શ્રી રામની ભવ્ય રંગોળી બનાવવા આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ