ગાંધીનગર, 27 જૂન (હિ.સ.) : સમગ્ર રાજ્યમાં શરૂ થયેલ ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ -૨૦૨૫નો દ્રિતિય દિવસે ગાંધીનગર તાલુકાના શાહપુર પુર તથા વલાદ ગામે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીએ તાલુકા શાળામાં પ્રવેશ અપાવીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્ય સચિવ સહિત મહાનુભાવોએ શિક્ષણની સોનેરી સફરમાં પગરવ માંડતા ભૂલકાંને શૈક્ષણિક કીટ તેમજ સ્નેહભેર આવકાર આપીને બાલવાટીકા અને આંગણવાડીના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. અને તેમના માટે શૈક્ષણિક સફરની આ શરૂઆતની જીવનભરનું સુંદર સંભારણું બનાવી હતી.
આ અવસરે રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીએ ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આજથી બે દાયકા પૂર્વે એક નાના વિચાર સાથે શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આજે સમાજનો ઉત્સવ બની ગયો છે.
વર્ષ 2002-03માં વડાપ્રધાન જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે આ પ્રવેશોત્સવ ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. જેની આજે આપણે 23 માં વર્ષની સફળતા પૂર્ણ ઉજવણી કરી રહ્યા છીએ. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, પ્રાથમિક શિક્ષણ એ કોઈ એક વિભાગ કે માત્ર શિક્ષકોની નહીં પણ સમગ્ર સમાજની જવાબદારી છે. એટલે જ પ્રવેશોત્સવને સમાજોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. સરકાર અને સમાજની સંયુક્ત જવાબદારી સમાજના દરેક વ્યક્તિ ને શિક્ષણ સાથે જોડવાની, અને શૈક્ષણિક પ્રવાહમાં લાવવાની છે. પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના આ માનવતા ભર્યા મહાયજ્ઞ થકી અત્યાર સુધીમાં આપણને સારા અને સુખદ પરિણામો મળ્યા છે. આવા કાર્યક્રમો થકી સો ટકા નામાંકન ઉપરાંત હવે ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય થવાની આરે પહોંચી ચૂક્યો છે.
ત્યારે નાના બાળકોને શૈક્ષણિક જીવનમાં પહેલી પગલી મંડાવતા ચીફ સેક્રેટરીશ્રીએ ઉમેર્યું હતું કે, જીવનમાં આગળ વધવા માટે શિક્ષણ સિવાય બીજો કોઈજ વિકલ્પ નથી. માટે બાળકોને તેમણે નિયમિત શાળાએ આવવા સૂચન કર્યું હતું.
સાથે જ ઉપસ્થિત વાલી ગણને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, શાળા વ્યવસ્થાપન સમિતિમાં જોડાઈ બાળકોની શિક્ષણની નીવ મજબૂત કરવા સાથે, તેમના પ્રશ્નો અને જરૂરિયાતોને પણ ધ્યાન રાખી શકો છો. એમાં પણ વિશ્વનું પ્રથમ આઈએફસી સેન્ટર જ્યારે બાજુમાં બની રહ્યું હોય ત્યારે, તેમાં વધુમાં વધુ લોકો નોકરી કરે તે રીતે ભાવીનું ઘડતર થાય તે જરૂરી છે. માટે આટલી બધી વિપુલ તકો વચ્ચે ધ્યાન અને એકાગ્રતાથી અભ્યાસ કરો તથા એ.આઈ, રોબોટિક જેવી કારકિર્દી પસંદ કરો તેવી શુભેચ્છા પાઠવી હતી.
આ સાથે જ ઉપસ્થિત ગામના સરપંચને સંબોધી તેમણે જણાવ્યું હતું કે, ગામમાં ઘણા બધા ઘરો
પર સોલાર રૂફટોપનું કામ થયું છે, પરંતુ બાકીના દરેક પાકા ઘરો ઉપર સોલાર રૂફટોપનું કાર્ય થાય તો તે ગ્રીન એનર્જી તરફ એક મહત્વનું પગલું ગણાવી શકાય, અને તે અંગે કામગીરી કરવા માટે પણ પંકજ જોશીએ ભારપૂર્વક સૂચન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને સચિવએ ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ વૃક્ષારોપણ કરી એસ.એમ.સીના સભ્યો સાથે સંવાદ કર્યો હતો.
આ શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત શાળામાં શૈક્ષણિક જરૂરિયાતો માટે છુટા હાથે દાન કરતા, દાતાઓ સહિત શાળામાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિમાં આગળ પડતા તેજસ્વી તારલાઓ ઉપરાંત જ્ઞાન સાધના અન જ્ઞાનસેતુ જેવી પરીક્ષાઓ ઉત્તીર્ણ કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી હાર્દિક સતાસિયા, બંને ગામના સરપંચ ઓ,તલાટીઓ, ગામના અગ્રણીઓ, સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ, શાળાના આચાર્ય સહિત શિક્ષકો અને વિધાર્થીઓ, વાલીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ