આતંકવાદ સામેની લડાઈમાં, બ્રાઝિલે ખુલ્લેઆમ ભારતને ટેકો આપ્યો
બ્રાઝિલિયા (બ્રાઝિલ), નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.). બ્રાઝિલે પાકિસ્તાનના આતંકવાદ સામેની લડાઈમાં ભારતને ખુલ્લેઆમ ટેકો આપવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં ભારતીય સંસદીય સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્યોએ, બ્રાઝ
બ્રાઝીલમાં ભારતનું પ્રતિનિધિ મંડળ


બ્રાઝિલિયા (બ્રાઝિલ), નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.). બ્રાઝિલે પાકિસ્તાનના આતંકવાદ સામેની લડાઈમાં ભારતને ખુલ્લેઆમ ટેકો આપવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં ભારતીય સંસદીય સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના સભ્યોએ, બ્રાઝિલના નેતાઓ સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન, બ્રાઝિલના ટોચના નેતૃત્વને ભારતના ઓપરેશન સિંદૂર પછીની તાજેતરની પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા હતા.

આ પ્રતિનિધિમંડળના સભ્ય, ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ જણાવ્યું હતું કે, બ્રાઝિલના નેતાઓએ ભારતના આતંકવાદ વિરોધી પ્રયાસ ઓપરેશન સિંદૂરને સ્પષ્ટ સમર્થન વ્યક્ત કર્યું છે અને પાકિસ્તાનના સરહદ પારના આતંકવાદની નિંદા કરી છે. પ્રતિનિધિમંડળ બ્રાઝિલની સંસદના સ્પીકર, કાર્યકારી વિદેશ પ્રધાન અને ભારત-બ્રાઝિલ ફ્રેન્ડશિપ ગ્રુપના સાંસદોને મળ્યું છે. બ્રાઝિલના નેતાઓએ ખાતરી આપી છે કે, બ્રાઝિલ ભારતનું મિત્ર છે અને ભવિષ્યમાં પણ મિત્રતા જાળવી રાખશે.

સૂર્યાએ કહ્યું કે, આ ભારત માટે મોટી વાત છે. લેટિન અમેરિકા અને આ સમગ્ર ભૂગોળમાં બ્રાઝિલનું મહત્વપૂર્ણ સ્થાન છે. ભારતીય પ્રતિનિધિમંડળે બ્રાઝિલના ટોચના અધિકારીઓ સાથે ત્રણ રાઉન્ડની ચર્ચા કરી છે. બધી જ બેઠકોમાં, બ્રાઝિલે આતંકવાદ સામે ભારતના વલણને દરેક રીતે ટેકો આપ્યો. તેજસ્વીએ કહ્યું કે, ભારતને ગુયાના, પનામા અને કોલંબિયાથી ભારે સમર્થન મળ્યું. નોંધનીય છે કે, આ પ્રતિનિધિમંડળમાં સરફરાઝ અહમદ, ગન્તી હરીશ મધુર, શશાંક મણિ ત્રિપાઠી, ભુવનેશ્વર કલિતા, તેજસ્વી સૂર્યા અને ભૂતપૂર્વ રાજદૂત તરનજીત સિંહ સંધુનો સમાવેશ થાય છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે કહ્યું કે, બ્રાઝિલના નાયબ વિદેશ મંત્રી મારિયા લૌરા દા રોચા સાથેની તેમની મુલાકાત સફળ રહી.

મોનરોવિયા (લાઇબેરિયા) માં, ભાજપના નેતા એસએસ અહલુવાલિયાએ કહ્યું કે, પાકિસ્તાન અમારો ખરાબ પાડોશી છે. આ પાડોશી હંમેશા અમારી સાથે લડતો રહે છે. પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર બની રહ્યું છે. બીજુ જનતા દળના સાંસદ સસ્મિત પાત્રાએ કહ્યું કે, આતંકવાદીઓ સારા કે ખરાબ નથી. તેઓ ફક્ત આતંકવાદી છે. આ ફક્ત ભારતની જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની લડાઈ છે. ભારત વસુધૈવ કુટુમ્બકમની વિચારધારામાં માને છે.

ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજે કહ્યું કે, આતંકવાદ કોઈ પણ ક્ષેત્રની સમસ્યા નથી. આ સમયે સમગ્ર વિશ્વએ આતંકવાદ સામે એક સાથે ઉભા રહેવું જોઈએ. 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો માનવતાની હત્યા હતી.

કાહિરા (ઇજિપ્ત) માં કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે, અમે બધાએ અમારા વાર્તાલાપકારોને આ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે, આતંકવાદનો ઉપયોગ રાજ્ય નીતિના સાધન તરીકે કરતા તમામ દેશો પર, એકવાર અને હંમેશા માટે પ્રતિબંધ લાદવાનો સમય આવી ગયો છે. કમનસીબે પાકિસ્તાન તે દેશોમાં મોખરે છે.

મેડ્રિડ (સ્પેન) માં ડીએમકે સાંસદ કનિમોઝીએ કહ્યું કે, અમે સ્પેનના વિદેશ મંત્રીને મળ્યા. સેનેટના સભ્યોને મળ્યા. અમે સ્પેન ઈન્ડિયા કાઉન્સિલ સાથે બેઠક યોજી. સૌ પ્રથમ અમે આતંકવાદના પીડિતોને ટેકો આપતા સંગઠન સાથે બેઠક યોજી. અમને વિદેશ મંત્રી તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ મળ્યો. તેમણે અમને ખાતરી આપી કે, જ્યારે ભારત આતંકવાદ સામે લડવા માંગે છે અથવા તેને સમાપ્ત કરવા માંગે છે, ત્યારે તેઓ તેને સમર્થન આપશે. એવું કહેવામાં આવ્યું છે કે, રશિયા, લાતવિયા, સ્લોવેનિયા, ગ્રીસ અને સ્પેનની મુલાકાત પૂર્ણ કર્યા પછી, સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ ભારત જવા રવાના થશે. પ્રતિનિધિમંડળના નેતા કનિમોઝી ચેન્નાઈ પહોંચશે, અન્ય સભ્યો કાલે દિલ્હીમાં હશે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande