પટણા, નવી દિલ્હી, 03 જૂન (હિ.સ.). બિહારમાં તોફાન અને મુશળધાર વરસાદથી વ્યાપક વિનાશ થયો છે. સોમવારે મોડી સાંજે રાજ્યના સિવાન જિલ્લામાં આ કુદરતી આફતમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા. મૃતકોમાં બે મહિલાઓ અને એક વૃદ્ધ વ્યક્તિનો સમાવેશ થાય છે. તોફાન દરમિયાન ભારે વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં વૃક્ષો પડી ગયા છે. દિવાલો અને મકાનોની છત ધરાશાયી થઈ ગઈ છે.
સિવાનના બરહડિયા પોલીસ સ્ટેશનના બહાદુર ગામમાં 30 વર્ષીય મજૂર શાહિદ અખ્તરનું જોરદાર વાવાઝોડા દરમિયાન છત પર કામ કરતી વખતે સંતુલન ગુમાવવાથી મૃત્યુ થયું. બસંતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બસનવ ગામના 55 વર્ષીય નંદકિશોર સિંહ પર લીમડાનું ઝાડ પડી ગયું. તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. બસંતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વિશુનપુરા ગામમાં 40 વર્ષીય અલીમુન બેગમ પર મહુઆનું ઝાડ પડી ગયું. તેમણે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો. લકડી નવીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના બાજીતપુર ગામના 35 વર્ષીય વેપારી યુસુફ અલીની કાર પર એક વડનું ઝાડ પડ્યું. આ અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું.
લખનૌરા ગામમાં, 52 વર્ષીય કલ્પતિ દેવીનું તેમના ઘરની દિવાલ તૂટી પડતાં અને કાટમાળ નીચે દટાઈ જવાથી મૃત્યુ થયું. માધોપુર ગામમાં, વિજય પ્રસાદની પત્ની ચંદ્રવંતી દેવી આંગણામાં હતી. ત્યારે તેમના પર એક આંબાનું ઝાડ પડ્યું. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ થયું. જીબી નગર પોલીસ સ્ટેશન વિસ્તારના સતવાર ગામમાં, 75 વર્ષીય શ્રીરામ પ્રસાદની ઝૂંપડી પડી ગઈ. તેઓ બહાર નીકળી શક્યા નહીં અને તેમનું મૃત્યુ થયું.
રાજ્ય સરકારે આપત્તિ રાહત ભંડોળમાંથી દરેક અસરગ્રસ્ત પરિવારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. ઉપરાંત, આંશિક અથવા સંપૂર્ણ રીતે નુકસાન પામેલા ઘરોનો સર્વે કરવાની જાહેરાત કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / ચંદા કુમારી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ