ગાંધીનગર, 9 જૂન (હિ.સ.) : અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ભારત-24 ન્યુઝ ચેનલનાં ત્રણ વર્ષ પૂર્ણ થવા પર 'પ્રોગ્રેસિવ ગુજરાત' સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનારા મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત 24 ચેનલના સમગ્ર આયોજનને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ન્યૂ ઇન્ડિયાના વિઝન સાથે સુસંગત ગણાવતાં કહ્યું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના વડાપ્રધાનશ્રીના લક્ષ્ય સાથે કદમતાલ મિલાવીને ગુજરાત પણ શાંતિ, પ્રગતિ અને વિકાસની રાહ પર આગળ વધી રહ્યું છે. તેમણે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતીય સૈન્યએ કરેલા પરાક્રમ બદલ જવાનોના શૌર્યને બિરદાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આપણી સૈન્ય શક્તિએ કરેલા પરાક્રમથી દેશમાં આંતરિક સુરક્ષા અને સલામતી સાથે શાંતિપૂર્ણ માહોલ છે. જન કલ્યાણકારી યોજનાઓની સફળતા અને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટના પરિણામે, પ્રોગ્રેસ થકી આપણે વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા બની શકયા છે.
વડાપ્રધાનના નેતૃત્વમાં આખો દશક ગરીબ કલ્યાણનો દશક બની રહ્યો છે. વડાપ્રધાનના કાર્યકાળનાં 11 વર્ષની વિકાસ યાત્રાની અનુભૂતિ જન જનને થઈ છે,સાથે જ મુખ્યમંત્રી એ ગઈકાલે થયેલા ચિનાબ રેલ્વે બ્રિજનું લોકાર્પણ અંગે પણ વાત કરી હતી. વર્ષોથી અટકેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના કાર્યો હવે પૂરા થઈ રહ્યા છે અને સાથે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ વિકાસ થયો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સૌભાગ્યશાળી છે કે પ્રધાન મંત્રીના નેતૃત્વમાં તે અન્ય રાજ્યો માટે વિકાસનું રોલ મોડલ બન્યું છે તથા ગુજરાતના વિકાસની ગતિ પણ બમણી થઈ છે.
તેમણે કહ્યું કે ગુજરાતની જીવા દોરી નર્મદા નદીના નીર પણ કચ્છના છેવાડાના ગામ મોડકૂવા સુધી પહોંચ્યા છે, તે પણ પ્રધાનમંત્રીના જન સેવાના અને જન કલ્યાણના કાર્યોમાંથી એક છે. અન્ન, આરોગ્ય અને આવાસ ની કલ્યાણકારી યોજનાઓ થકી ગુજરાતે પ્રધાનમંત્રી ના નેતૃત્વમાં જન કલ્યાણકારી વિકાસની નવી પહેલ કરી છે. ત્યારે વંદે ભારત જેવી બુલેટ ટ્રેન પણ પ્રધાનમંત્રી કાર્યકાળમાં આપણને મળી છે.
આઇકોનિક કેબલ બ્રિજ સુદર્શન સેતુ બનતા બેટ દ્વારકા જવું સરળ બન્યું છે. પ્રવાસનની સાથે ઔદ્યોગિક વિકાસમાં પણ ગતિ બમણી થઈ છે. સાથે જ ફાઇનાન્સિયલ ડિસિપ્લિનમાં પણ ગુજરાત અગ્રેસર છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીને સૂર્યઘર યોજના અંતર્ગત દેશના ત્રણ લાખથી વધુ ઘરોને લાભ મળ્યો હોવાનું જણાવ્યું હતું, સાથે જ આ તકે તેમણે 'એક પેડ મા કે નામ' અંતર્ગત ગુજરાતને મળેલી સફળતા માટે ગૌરવ અનુભવતા 'કેચ ધ રેન', ‘ગરીબ કલ્યાણ યોજના', સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત પ્લાસ્ટિક મુક્ત ગુજરાતમાં જોડાવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ભારત 24 ના સીઈઓ ડો. જગદીશચંદ્રાએ પ્રાસંગિક ઉદબોદન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે વિકાસની ગંગા વહી રહી છે, તેના માટે મુખ્યમંત્રી ખરેખર આભાર અને પાત્ર છે, સાથે જ તેમણે ઓપરેશન સિંદૂરની સફળતાનો ઉલ્લેખ કરતા ગુજરાતમાં યોજાયેલા ભવ્ય રોડ શો થકી જનતાના ઉત્સાહને પણ આપ આ તકે યાદ કર્યો હતો.
સાથે જ તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, અમે જનતા અને સરકાર વચ્ચે ના પુલનું કામ કરીએ છીએ અને કરતા રહીશું.
આ કાર્યક્રમમાં સ્ટ્રેટેજિક એડવાઇઝર મનોજ જિજ્ઞાસી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર પ્રતિભાબેન જૈન તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી સહિતના મહાનુભાવો અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ