ગીર સોમનાથ, 9 જૂન (હિ.સ.) સમગ્ર જિલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પૂરક પરીક્ષા તા.૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ દરમિયાન યોજાશે. પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના કોઈપણ ભય અને ત્રાસ વગર પરીક્ષા આપી શકે અને કાયદો અને પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી.આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ જાહેરનામા અનુસાર તા. ૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ ના રોજ સવારના ૦૯.૦૦ કલાકથી સાંજના ૧૯.૦૦ સુધી અમુક કૃત્ય કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
જાહેરનામા અનુસાર પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ માર્ગ ઉપર, ચોકમાં કે ગલીઓમાં ચાર કરતા વધારે લોકોએ એકઠાં થવું નહીં તેમજ મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વગેરે ધ્વનિવર્ધક સાધનોનો ઉપયોગ કરવો નહીં. પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા સ્થળોએ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા તેમજ કોપીરાઈટ કે ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના જવાબોની કોપીઈંગ મશીન દ્વારા કોઈએ કોપી કરવી નહીં.
પરીક્ષાર્થીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ, જાહેર જનતા કે ફરજ ઉપરના તમામ પ્રકારના સરકારી સ્ટાફે પરીક્ષા સંબંધિત ચોરી ગણાય તેવા કોઈ સાહિત્યની આપ-લે કરીને/કરાવીને ત્રાસ અથવા ખલેલ અથવા ભય પહોંચે તેવું કૃત્ય કરવું નહીં.
પુસ્તક, કાપલી, ઝેરોક્ષ નકલો પરીક્ષાસ્થળમાં લઈ જવા નહીં કે તેનું વહન કરવું નહીં કે મદદ કરવી નહીં. પરીક્ષાર્થીઓને અન્ય કોઈ વ્યક્તિ કે પરીક્ષાર્થી જાતે પરીક્ષામાં ચોરી કરીને કે કરાવીને, અથવા ચોરી ગણાય તેવા કોઈ સાહિત્યની આપ-લે કરાવીને ત્રાસ અથવા ખલેલ અથવા ભય પહોંચે તેવું કૃત્ય કરવું નહીં.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ પગલા લેવાની કાર્યવાહી કરાશે તેમજ ગુન્હો સાબિત થયે છ માસની સાદી કેદ અથવા રૂ.૨૫૦૦નો દંડ કે બન્નેની સજા થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ