વડોદરા, 9 જૂન (હિ.સ.)- વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવતા આયોજિત વિના ખોદકામની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. આજે સવારે વાઘોડિયા રોડ પર આવેલ પૂનમ કોમ્પ્લેક્સ રોડ ઉપર રામવાટિકા સામે રસ્તો પહોળો કરવાની કામગીરી દરમિયાન JCBથી કરવામાં આવેલા ખોદકામમાં ઇલેક્ટ્રિક કેબલ તૂટી પડ્યો હતો.
આ કારણે પૂનમ કોમ્પ્લેક્સ, સાંઈ આશિષ ડુપ્લેક્સ, રામ વાટિકા, સાંઈ વિહાર અને વલ્લભ વાટિકા જેવી નજીકની સોસાયટીઓમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. લગભગ એક કલાકથી વધુ સમય સુધી લાઈટ બંધ રહેતા રહીશોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો.
વીજ કંપનીના કસ્ટમર કેર સાથે સંપર્ક કરવા છતાં જવાબ ન મળતા લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. અવારનવાર આવતી આવી ઘટનાઓ પાલિકા અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને યથાવકતાપૂર્વક કામગીરી ન થવાની મજબૂત સાક્ષી આપે છે.
સ્થાનિક રહીશોએ કામ શરૂ કરતા પહેલા જરૂરી માહિતી મેળવવી અને કેબલ, પાણી કે ગેસ લાઇનને નુકસાન ન થાય તેવી પૂર્વયોજિત કામગીરી કરવી જરૂરી હોવાનું જણાવતાં પાલિકા સામે નારાજગી વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે