ભુજ-કચ્છ, 13 જુલાઈ (હિ.સ.) : નરેન્દ્ર મોદીની સરકારને 11 વર્ષ પૂર્ણ થતા ‘સંકલ્પથી સિદ્ધિ’ અભિયાન હેઠળ ભાજપ સંગઠન દવારા વિવિધ સેવાકીય અને લોકલક્ષી કાર્યો કરવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ નાગરિકો માટેની વયવંદના યોજનાના અમલીકરણ અને જાગૃતિ માટે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા કચ્છભરમાં કેમ્પો યોજી કાર્ડ બનાવાની કામગીરી હાથ ધરાઈ હતી. 257 સ્થળોએ કેમ્પોનું આયોજન કરાયું હતું.
કચ્છના ગામ શહેરોમાં વરિષ્ઠ નાગરિકો માટે ખાસ આયોજન
કચ્છના તમામ શહેરી મંડળોમાં તમામ વોર્ડમાં તેમજ તાલુકા મંડળોમાં તમામ ગ્રામ્ય વિસ્તારોમાં તમામ તાલુકા પંચાયત સીટ પર વયવંદના કાર્યક્રમોના કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ શહેરમાં 11, માંડવી શહેરમાં 9 મુન્દ્રા શહેરમાં 7, અંજાર શહેરમાં 9, ગાંધીધામ શહેરમાં ૧૩, ભચાઉ શહેરમાં 7, રાપર શહેરમાં 7 વોર્ડમાં જ્યારે તાલુકા કક્ષાએ ગ્રામ્ય મંડળોમાં લખપત તાલુકામાં 16, અબડાસા તાલુકામાં 18, નખત્રાણા તાલુકામાં 20, ભુજ તાલુકામાં 32, માંડવી તાલુકામાં 20, મુન્દ્રા તાલુકામાં 18, અંજાર તાલુકામાં 20, ગાંધીધામ તાલુકામાં 06, ભચાઉ તાલુકામાં 20, રાપર તાલુકામાં 24 તાલુકા પંચાયત બેઠકો સહિત સમગ્ર જિલ્લા ભરમાં 257 થી વધુ સ્થાનો પર વયવંદના નોંધણી કેમ્પોનું આયોજન કરવામાં આવ્યુ.
મોટી સંખ્યામાં આયુષ્યમાન કાર્ડનું વિતરણ
આ અંગે જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દવારા અમલ માં મુકાયેલી લોકલક્ષીયોજનાઓ પૈકીની વયવંદના યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે તેવા આશયથી બહોળી સંખ્યામાં આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે.
સાંસદથી માંડીને કાર્યકરો સુધીના લોકો થયા સામેલ
સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો ઉપરાંત સંકલ્પથી સિદ્ધિ યોજનાના જિલ્લા ઇન્ચાર્જ હિતેશ ખંડોલ, સહ ઇન્ચાર્જ સુરેશભાઈ સંઘાર, વયવંદના અભિયાન ના જિલ્લા ઇન્ચાર્જ બાલકૃષ્ણ મોતા ઉપરાંત આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતન કતીરાએ જણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA