પાટણ, 13 જુલાઈ (હિ.સ.)પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ભારત વિકાસ પરિષદના સહયોગથી “ગુરુ વંદન – છાત્ર અભિનંદન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓએ કુમકુમ તિલકથી મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું કે સત્ય બોલવું અને વ્યસનથી દૂર રહેવું એ જ ગુરુ માટે સાચી દક્ષિણા છે. ભારત વિકાસ પરિષદના સહમંત્રી લાધુભાઈ રથવીએ સંસ્થાની કાર્યપદ્ધતિ વિશે માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ અને આદર્શ શિક્ષક અલ્પેશભાઈ પટેલનો સન્માન કરવામાં આવ્યો હતો.
પરિષદના ખજાનચી નારણભાઈ પટેલે વિદ્યાર્થીઓને ગુરુના આદર, સત્યવાદિતા અને વ્યસનમુક્તિનો શપથ લેવડાવ્યો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ શિક્ષકોના પગે પડી આશીર્વાદ લીધા અને ગુલાબ પાંખડીઓથી તેમનું સન્માન કર્યું. આભારવિધિ નરેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ શાળાના સંસ્કારમય વાતાવરણ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ બની રહ્યો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર