સુરત, 13 જુલાઈ (હિ.સ.)- મુખ્યમંત્રીના સીધા દિશા નિર્દેશો અનુસાર સુરત જિલ્લાના પંચાયત માર્ગ અને મકાન વિભાગ
હેઠળના ચોર્યાસી તાલુકાના નદી,
ખાડી અને કાસ ઉપર આવેલા તમામ નાના–મોટા પુલો, સ્લેબ
ડ્રેન, બોક્સ કલ્વર્ટ, કોઝ-વે સહિતના
ઇન્ફ્રાસ્ટ્રક્ચરોનું તાત્કાલિક સ્થળ નિરીક્ષણ હાથ ધરાયું હતું. વરસાદી માહોલને
ધ્યાને રાખીને નાગરિકોની યાત્રા સલામત અને સુવ્યવસ્થિત રહે એ માટે આ પ્રયાસ
પૂરજોશમાં આગળ વધારવામાં આવ્યો છે.
હાલ 18 સુધીમાં સ્ટ્રક્ચરોનું નિરીક્ષણ
કરવામાં આવ્યું હતું. જેમાં ચોર્યાસી પેટા વિભાગની તાંત્રિક ટીમે દરેક પુલની
સ્થિરતા, સપોર્ટિંગ
સ્ટ્રક્ચર, એબટમેન્ટ, પિયર્સ, ક્રેક તપાસ, જમીન ધોવાણ તેમજ પાણીની પસાર થવાની
જગ્યા (ક્લિઅરન્સ) જેવી બાબતોની ગંભીરતાપૂર્વક ચકાસણી કરી છે.
દરેક પુલ માટે એક અલગ વિશિષ્ટ
ઇન્સ્પેક્શન રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં પુલની હાલની સ્થિતિ, જોખમવાળા મુદ્દાઓ, તાત્કાલિક જરૂરી મરામત તથા
ભવિષ્યના જાળવણી કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યાં પણ જોખમ જણાયું છે ત્યાં
તરત જ પેચ વર્ક, કોંક્રિટ કામ, બેરિકેટિંગ
તેમજ ચેતવણી બોર્ડ લગાવવાના પગલાં લેવામાં આવ્યા છે.
વિશેષરૂપે
લાજપોર-કછોલી-સામરોધ-તરાજ રોડ તથા સામરોધ સ્મશાનથી લિંગડ રોડ ઉપર આવેલા માઈનોર
પુલોનું નિરીક્ષણ કરાયું હતું. આ પુલોના સ્ટ્રક્ચરલ રિપોર્ટના આધારે આવશ્યકતા જણાય
તો ભવિષ્યમાં પુનઃમજબૂતીકરણ (Strengthening),
સ્ટ્રક્ચરલ રિપેર તેમજ ટેકનિકલ મોનિટરિંગની કામગીરી અમલમાં મુકાશે.
ચોમાસા દરમિયાન અકસ્માત ટાળવા અને
રાહદારીઓ માટે સુરક્ષિત, વ્યવસ્થિત અને વિશ્વસનીય યાત્રા સુનિશ્ચિત થાય તે હેતુથી ચોર્યાસી પેટા
વિભાગ દ્વારા જવાબદારીપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે