ગાંધીનગર, 28 જુલાઈ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા.
શ્રાવણ માસ નિમિત્તે શિવ આરાધનાનું વિશેષ મહત્વ છે ત્યારે તેમણે આ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ધોળેશ્વર મહાદેવજીના દર્શન કરીને પોતાના દિવસના કામકાજની શરૂઆત કરી હતી.
મુખ્યમંત્રીએ ભગવાન ભોળાનાથના દર્શન પૂજન કરીને સૌ નાગરિકોની શાંતિ, સુખાકારી અને રાજ્યની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.
તેમણે ધોળેશ્વર મહાદેવના મહંત રામસ્વરૂપ પુરીજી સાથે મંદિર પરિસરમાં મુલાકાત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું.
ગાંધીનગરના મેયર મીરાં બહેન પટેલે પણ, આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ