ગીર સોમનાથ 28 જુલાઈ (હિ.સ.) રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક કાર્ય વધુ બળવત્તર બનાવવાની નેમ સાથે સમગ્ર રાજ્યમાં ઉમેદવારોને નિમણૂંક પત્રકો એનાયત કરવાના કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે. જે અંતર્ગત વેરાવળમાં શ્રીમતી મણીબહેન કોટક હાઈસ્કૂલ ખાતે નવનિયુક્ત શિક્ષકોનો નિમણૂક સમારોહ યોજાયો હતો.
જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.પી.બોરીચા સહિત શિક્ષણવિદ્દોના વરદહસ્તે બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ફાળવણી પામેલા ૬૬ ઉમેદવારોને ભલામણપત્ર અને નિમણૂક હૂકમો એનાયત કરવામાં આવ્યાં હતાં.
જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.પી.બોરીચાએ જણાવ્યું હતું કે, શિક્ષક એ સંવેદના અને સમર્પણનું પ્રતિક છે. પવિત્ર શ્રાવણ માસના પહેલા દિવસે તમામ ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત થયા છે અને ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષક પરિવારનું વિસ્તરણ થયું છે, જેની ખૂબ જ ખુશી છે.
નિષ્ઠાપૂર્વક કાર્ય કરી અને જવાબદારી લઈ ગ્રામ્યવિસ્તારથી લઈ શહેરી વિસ્તારમાં રહેલા ભવિષ્યના નાગરિકોને તૈયાર કરવામાં નવા શિક્ષકમિત્રોની ભૂમિકા ખૂબ મહત્વની છે. એ ભૂમિકા સર્વે સુપેરે પાર પાડે એમ કહી નિમણૂક મેળવનાર તમામ શિક્ષકોને ઉજ્જવળ કારકિર્દી માટે તેમણે અભિનંદન પાઠવ્યાં હતાં.
નવા શિક્ષકોએ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, શિક્ષક બનવાની સાથે જ હવે એક સારા નાગરિકના ઘડતર માટે જવાબદાર સમાજના નિર્માતા બનવાની જવાબદારી મળી છે. એક સારા શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓના જીવનનું ભવિષ્ય ઘડતર થાય છે. જ્યારે સપનું સાકાર થાય છે ત્યારે સમગ્ર પરિવારના લોકોને ખુશી થાય છે. આ કાર્યક્રમની તકે નિમણૂક પામનાર શિક્ષકોએ પોતાની શૈક્ષણિક સફર વર્ણવી શૈક્ષણિક કાર્ય પ્રત્યે પ્રતિબદ્ધતા દાખવવાની નેમ વ્યક્ત કરી હતી.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ આ ભરતી તેમજ નિમણૂક પ્રક્રિયાને સફળ બનાવવા માટે જિલ્લા શિક્ષણ કચેરીનાં તમામ અધિકારી અને કર્મચારીની પ્રશંસનીય કામગીરીને બીરદાવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષકો, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો, હેડ ક્લાર્ક અને વહીવટી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ