જામનગર, 28 જુલાઈ (હિ.સ.) : છોટી કાશીના ઉપનામથી પ્રચલિત અને નાના મોટા અનેક શિવાલયની નગરી એવા (નવાનગર) જામનગર શહેરમાં શ્રાવણ માસના પ્રારંભ બાદ આજે પ્રથમ સોમવારે પ્રત્યેક શિવાલયોમાં ભમ ભમ ભોલે નાદ સાથે ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, અને શિવ ભક્તોના ઘોડાપુર જોવા મળ્યા હતા, જેઓ ના મુખેથી ’હર હર મહાદેવ’નો નાદ ગૂંજયો હતો.
જામનગર શહેરમાં આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ શિવ ભક્તોએ બિલિપત્ર ઉપરાંત અભિષેક અને જલાભિષેક ની પૂજા અર્ચના કરી ભોળાનાથને રિઝવવા પ્રાર્થના કરી હતી.
જામનગર શહેરના પુરાણપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, નગરની મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા જળેશ્વર મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર, મણીકંકેશ્વર મહાદેવ મંદિર, સહિતના શિવાલયોમાં વહેલી સવારથી જ શિવ ભક્તો એ દર્શન માટે કતાર લગાવી હતી.રુદ્રાભિષેક- જલાભિષેક સહિતની પૂજા-અર્ચના કરી હતી. તેમ જ ભગવાન શિવજીના પ્રિય એવા બિલ્વપત્રને માથે ચડાવી દર્શનનો લ્હાવો લીધો હતો.
જામનગર મહાનગર પાલિકાના સફાઈ તંત્ર દ્વારા શહેરના તમામ શિવાલયના દ્વારે કાળજી પૂર્વકની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જામનગરના પોલીસ વિભાગ અને હોમગાર્ડના જવાનોને પણ અલગ અલગ શિવ મંદિરોના દ્વારે બંદોબસ્ત માટે મૂકવામાં આવ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શહેરની મધ્યમાં આવેલા શિવ મંદિરની બહાર ટ્રાફિક પોલીસના જવાનો તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનોને પણ મૂકવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT