નવસારી, 28 જુલાઈ (હિ.સ.)-આગામી તા.9મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે 176 ગણદેવી આદિજાતી વિધાનસભા મતવિસ્તારમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના એ.પી.એમ.સી. માર્કેટ ખાતે ઉજવણી કરવામાં આવનાર છે. જેના સુચારું આયોજન અને અમલવારી અન્વયે ચીખલી પ્રાંત કચેરીના સભાખંડ ખાતે પ્રાંત અધિકારીશ્રી મિતેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી.
કાર્યક્રમના આયોજન સંદર્ભે યોજાયેલી બેઠકમાં પ્રાંત અધિકારી મિતેશ પટેલે સંબંધિત વિભાગોને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે કામગીરીની વ્યવસ્થા તેમજ પાર્કિંગ, પીવાના પાણી, આરોગ્ય અને સ્વચ્છતા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાથમિક સુવિધાઓ, સ્ટેજ-મંડપ, સાઉન્ડ સિસ્ટમ અંગેની વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં ગણદેવી તાલુકા અધિકારી ચેતનકુમાર દેસાઈ,ચીખલી તાલુકા વિકાસ અધિકારી ભાવના યાદવ, ખેરગામના તાલુકા વિકાસ અધિકારી મહેશ વિરાણી, બીલીમોરા નગરપાલિકા ચીફ ઓફિસર મિતલ ભાલાળા ,ગણદેવી નગરપાલિકા ચીફ ઓફિસર પ્રાચી દોશી તાલુકા કક્ષાના વિવિધ વ્યવસ્થાપન સમિતિના અધિકારીઓ, અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે