જૂનાગઢ, 12 સપ્ટેમ્બર (હિ.સ.) જૂનાગઢ, મુખ્યમંત્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અને તાલુકા કક્ષાના પ્રશ્નોના ઉકેલ તેમજ લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા ઉચ્ચ કક્ષા સુધી ન જવું પડે તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં જૂનાગઢ શહેર તાલુકા માટે સ્વાગત ઓનલાઇલ કાર્યક્રમ આગામી તારીખ ૨૪-૦૯-૨૦૨૫ ના સવારના ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કચેરી, તાલુકા સેવા સદન, સરદારબાગ, જૂનાગઢ ખાતે યોજાશે.
મુખ્યમંત્રીનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કોઇપણ અરજદારને અરજી કરતા પહેલા શહેરી વિસ્તારનો પ્રશ્ન હોય તો સીટી તલાટી કમ મંત્રીશ્રીને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય. તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રશ્ન અંગે લેખિતમાં રજૂઆત કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય.
ઉક્ત કાર્યક્રમમાં આગામી તા.૧૫-૦૯-૨૦૨૫ સુધીમાં અરજી કરવાની રહેશે. અરજીના મથાળે અરજદારોએ જૂનાગઢ શહેર તાલુકા માટેનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે.
આ કાર્યક્રમમાં રજૂ થતાં પ્રશ્નો શહેર કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જોઇએ. તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નના આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે અને આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે. સામુહિક રજૂઆતો નહિ થઇ શકે. સુનિશ્ચિત મુદ્દત બાદની અરજીઓ, અસ્પષ્ટ રજૂઆતવાળી અરજીઓ, એક કરતા વધુ વિભાગ કે કચેરીના પ્રશ્નો, સુવાચ્ય ન હોય તેવી અરજીઓ, નામ સરનામા વગરની અરજીઓ, વ્યક્તિગત આક્ષેપોવાળી અરજીઓ, નીતિ વિષયક પ્રશ્નો, ચાલુ સરકારી કર્મચારીના સેવા વિષાયક પ્રશ્નો, કોર્ટ મેટર, દીવાની પ્રકારની ખાનગી તકરારો, અપીલ થવાપાત્ર કેસો વાળી અરજીઓ, અરજદારને સ્વયં સ્પર્શતા ન હોય તેવા પ્રશ્નો, અરજદારે તેમની રજૂઆત અંગે સંબંધિત કચેરી કે ખાતાનો એકવાર પણ સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્ન તથા અગાઉના સ્વગાત કાર્યક્રમમાં રજૂ થયેલ પ્રશ્નો આ કાર્યક્રમમાં રજૂ થઇ શકશે નહીં. તેમ જૂનાગઢ શહેર મામલતદારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ