
અમરેલી, 17 જાન્યુઆરી (હિ.સ.) : મુંબઈની પાલિકા તથા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત નોંધાતાં સમગ્ર રાજ્યમાં ઉત્સાહનું માહોલ સર્જાયો છે. આ ઐતિહાસિક વિજયની ખુશીમાં અમરેલી શહેર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. અમરેલીના સાંસદ કેશવલાલ સુતરિયાના માર્ગદર્શન હેઠળ તથા ભાજપના વિશાળ કાર્યકરોના જૂથ દ્વારા ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી વિજયોત્સવ મનાવવામાં આવ્યો. ઉજવણી દરમિયાન ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. “ભારત માતા કી જય”, “વંદે માતરમ” અને “ભાજપ ઝિંદાબાદ”ના નારાઓથી ભાજપ કાર્યાલય ગુંજી ઉઠ્યું. કાર્યકરોએ જણાવ્યું કે મુંબઈ જેવી મહાનગરમાં ભાજપની જીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ, રાજ્ય અને કેન્દ્ર સરકારની વિકાસલક્ષી નીતિઓ તથા જનવિશ્વાસનું પરિણામ છે.
આ પ્રસંગે સાંસદ સુતરિયાએ કાર્યકરોને સંબોધતા કહ્યું કે, આ વિજય દેશના શહેરી વિસ્તારોમાં પણ ભાજપની મજબૂત પકડ દર્શાવે છે. જનતાએ વિકાસ, પારદર્શકતા અને મજબૂત નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે તમામ કાર્યકરોને અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં પણ જનસેવા માટે સમર્પિત રહી કાર્ય કરવાની અપીલ કરી. અમરેલી ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી આ ઉજવણી સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની રહી અને ભાજપના કાર્યકરોમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસનું સંચાર કર્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai