
મુંબઈ, નવી દિલ્હી, 06 જાન્યુઆરી
(હિ.સ.) કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડી (82)નું આજે, વહેલી
સવારે પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં અવસાન થયું. કલમાડીને થોડા દિવસો પહેલા
સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ એક મોટો પરિવાર છોડી ગયા છે:
તેમની પત્ની, પુત્ર, એક પુત્રવધૂ, બે પરિણીત
પુત્રીઓ, એક જમાઈ અને
પૌત્ર-પૌત્રીઓ. તેમના પાર્થિવ શરીરને પુણેમાં તેમના ઘર, કલમાડી હાઉસ ખાતે
જાહેર દર્શન માટે રાખવામાં આવ્યું છે. તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે પુણેના નવી
પેઠ સ્થિત વૈકુંઠ સ્મશાનગૃહમાં કરવામાં આવશે.
સુરેશ કલમાડીનો જન્મ 1 મે,
1944 ના રોજ થયો હતો. રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેઓ વાયુસેનામાં પાઇલટ હતા. રાજકારણમાં
પ્રવેશ્યા પછી, તેમણે 1982 થી 1996
સુધી રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી. તેમણે 1996 અને 2૦૦4 માં લોકસભાની ચૂંટણી
લડી. રાજકારણ ઉપરાંત, સુરેશ કલમાડીએ
રમતગમતની દુનિયામાં પોતાની છાપ છોડી. તેમણે પુણે ફેસ્ટિવલ અને પુણે મેરેથોન દ્વારા
પુણેને વૈશ્વિક ઓળખ અપાવી. તેમણે લાંબા સમય સુધી પુણેથી સંસદ સભ્ય તરીકે સેવા આપી
અને રેલ્વે રાજ્યમંત્રીનું પદ પણ સંભાળ્યું.
તેમણે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ તરીકે પણ સેવાઑ આપી.
તેમના કાર્યકાળ દરમિયાન ભારતે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું. જોકે, આ કોમનવેલ્થ
ગેમ્સમાં તેમના પર, છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં 2૦11 માં તેમની
ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ, પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા. આનાથી પુણેના સર્વશક્તિમાન
નેતા ગણાતા સુરેશ કલમાડીની રાજકીય કારકિર્દીનો અંત આવ્યો. એન્ફોર્સમેન્ટ
ડિરેક્ટોરેટ (ઇડી) એ 15 વર્ષ પછી
કોર્ટમાં કેસમાં ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો, તેમને ક્લીનચીટ આપી. આ ચુકાદા બાદ, પુણેમાં કલમાડીના
સમર્થકોએ ઉજવણી કરી. જોકે,
ચુકાદો આવ્યો
ત્યાં સુધીમાં કલમાડીની આખી રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હતી. તેઓ છેલ્લા કેટલાક
સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના નિધનથી પુણેના રાજકીય અને સામાજિક
વર્તુળોમાં શોક ફેલાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / રાજ બહાદુર યાદવ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ