
રાયપુર, નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી (હિ.સ.): છત્તીસગઢ સરકારની પુનર્વસન નીતિ હેઠળ શરણાગતિ સ્વીકારીને મુખ્ય પ્રવાહમાં પાછા ફરેલા 120 ભૂતપૂર્વ નક્સલવાદીઓ શુક્રવારે ગૃહની કાર્યવાહી જોવા માટે છત્તીસગઢ વિધાનસભા પહોંચ્યા. આ પહેલનો ઉદ્દેશ્ય ભૂતપૂર્વ નક્સલવાદીઓને લોકશાહી પ્રણાલી અને મતદાનની શક્તિથી પરિચિત કરાવવાનો હતો.
શરણાગતિ સ્વીકારનારા નક્સલવાદીઓમાં 66 પુરુષો અને 54 મહિલાઓનો સમાવેશ થાય છે. નક્સલવાદી સંગઠનના ભૂતપૂર્વ કેન્દ્રીય સમિતિના સભ્યો રૂપેશ, બસવા, ચૈતુ, લલિતા અને રાજુ પણ હાજર હતા. ભૂતપૂર્વ નક્સલવાદીઓ, જે સંગઠનના સામાન્ય સભ્યો હતા, તેમણે મુલાકાતીઓની ગેલેરીમાંથી કાર્યવાહી જોઈ, જ્યારે કેન્દ્રીય સમિતિના નેતાઓ સ્પીકરની ગેલેરીમાં બેઠા હતા.
25 લાખ રૂપિયાનું ઇનામ જામને પર હતું અને 2013ના ઝીરામ ખીણ હુમલાના કથિત માસ્ટરમાઇન્ડ ચૈતુએ લગભગ 35 વર્ષ જંગલોમાં વિતાવ્યા બાદ નવેમ્બર 2025માં શરણાગતિ સ્વીકારી હતી અને હવે તે સામાન્ય જીવનમાં પાછો ફર્યો છે.
વિધાનસભાના અધ્યક્ષ અને ગૃહના સભ્યોએ તેમનું સ્વાગત કર્યું અને સમાજના મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા બદલ અભિનંદન આપ્યા. સરકાર માને છે કે, લોકશાહી સંસ્થાઓ સાથે સીધો સંપર્ક પુનર્વસન પ્રક્રિયાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી વિજય શર્માએ ગૃહને માહિતી આપી કે, અત્યાર સુધીમાં રાજ્યમાં 2,937 નક્સલવાદીઓ પુનર્વસન નીતિનો લાભ લઈને મુખ્ય પ્રવાહમાં જોડાયા છે. છત્તીસગઢ વિધાનસભાના ઇતિહાસમાં આ દિવસને એક મહત્વપૂર્ણ દિવસ ગણાવતા તેમણે કહ્યું કે હિંસા છોડીને પાછા ફરનારાઓનું લોકશાહીમાં સ્વાગત અને સન્માન કરવું જોઈએ.
વિધાનસભાની મુલાકાત પહેલાં, નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ ગુરુવારે રાત્રે તેમના નિવાસસ્થાને તમામ આત્મસમર્પણ કરાયેલા નક્સલીઓના માનમાં રાત્રિભોજનનું આયોજન કર્યું હતું, જ્યાં તેઓએ તેમની સાથે વાતચીત કરી અને પુનર્વસન અને ભવિષ્યની યોજનાઓની ચર્ચા કરી.
હિન્દુસ્થાન સમાચાર / કેશવ કેદારનાથ શર્મા / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ