




પોરબંદર, 06 માર્ચ (હિ.સ.) : પોરબંદરના છાયા વિસ્તારમાં સ્મશાન નજીક સરકારી ખરાબાની 10 વીઘા જમીનમાં ખેતી વિષયક દબાણ થયું હતું, જેને તંત્રએ દૂર કરીને ચાર કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવી છે.
પોરબંદરના જુદા જુદા વિસ્તારોમાં દબાણ કરનારા ઈસમો સામે કડક કાર્યવાહી થઈ રહી છે ત્યારે છાયા વિસ્તારમાં આવેલા સ્મશાન નજીક અંદાજે 10 વીઘા જમીનમાં ઘણા વર્ષોથી દબાણ કરવામાં આવ્યું હતું અને ત્યાં મકાઈ અને જુવાર સહિતની ખેતી કરવામાં આવતી હતી. આ બાબતે કોર્ટમાં પણ લાંબો સમય સુધી કેસ ચાલ્યો હતો અને તે પૂર્ણ થયા બાદ સરકારી ખરાબ આમાં દબાણ થયાનું સિદ્ધ થયું હતું તેથી વહીવટી તંત્રના અધિકારીઓની સૂચના મુજબ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક કરોડ 35 લાખ 97 હજાર નો જંત્રી મુજબનો અને બજાર ભાવ 4 કરોડ હોવાનું વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું. વર્ષો જુના આ દબાણ ને દૂર કરવામાં આવ્યું છે ત્યારે ત્યાં હવે શું કરવામાં આવશે? તેવા સવાલના જવાબમાં અધિકારીએ એવી માહિતી આપી હતી કે વિચરતી વિમુક્ત જાતિ ને રહેવા માટે પ્લોટ ફાળવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે એટલું જ નહીં પરંતુ પોરબંદર શહેર અને જિલ્લામાં જ્યાં ક્યાંય પણ દબાણ કરવામાં આવ્યા હોય તે સ્વેચ્છાએ લોકો દૂર કરી દે તેવી સૂચના આપવામાં આવી છે અન્યથા વહીવટી તંત્ર ડિમોલિશનની કામગીરી કરશે તેમ પણ જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya