
જામનગર, 11 એપ્રિલ (હિ.સ.) : જામનગરમાં ગુલાબ નગર નજીક સિન્ડિકેટ સોસાયટીમાં રહેતા સતવારા જ્ઞાતિના બે પાડોશીઓ વચ્ચે જૂનું મનદુ:ખ રાખીને હુમલાનો બનાવ બન્યો હતો. ત્યાં રહેતા સતવારા જ્ઞાતિના પિતા પુત્ર ઉપર પાડોશી પિતા પુત્રએ હુમલો કરી દિધાની ફરીયાદ પોલીસ મથકે નોંધાઇ છે.
જામનગર શહેરમાં જૂની અદાવતને કારણે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે જામનગર ના સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસમાં જાહેર થયા અનુસાર જૂના ગુલાબનગર, સિન્ડિકેટ સોસાયટી વિસ્તારમાં ભાનુ પેટ્રોલપંપ સામેના ઢાળીયા પાસે બન્યો હતો. ફરીયાદી મિલનભાઈ રમેશભાઈ નકુમ (ઉ.વ.35, રહે. ગુલાબનગર, જામનગર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીઓ ભરત મનશુખભાઈ પરમાર તથા મનશુખભાઈ પરમાર, રહે. તે જ વિસ્તારમાં, જૂની અદાવતના કારણે ગાળો આપી ઝપાઝપી કરી હતી.
આ દરમિયાન આરોપી ભરત પરમારે ફરીયાદીનો કાઠલો પકડી માથામાં ઇજા પહોંચાડી હતી તેમજ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંને આરોપીઓએ મળીને આ ગુનામાં એકબીજાને મદદગારી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસ દ્વારા બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt