
મહેસાણા, 11 એપ્રિલ (હિ.સ.) અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મહેસાણા એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યો છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ફરાર આરોપીઓને પકડી પાડવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાનમાં આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
માહિતી મુજબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS) અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (IPS) ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમે ખાસ ડ્રાઇવ ચલાવી હતી. તા. 10 એપ્રિલ 2026ના રોજ બેચરાજી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી ઝાલા જયેશભા ઉર્ફે જયરાજસિંહ ધિરુભા વિરસંગ (ઉંમર 30) બહુચરાજી ખાતે કૃષ્ણા હોટલ પાસે હાજર છે.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી આરોપીને કાયદેસરની કાર્યવાહી હેઠળ ઝડપી લીધો હતો. આરોપી સામે પ્રોહીબીશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલ હતો.
પકડાયેલ આરોપીને વધુ તપાસ માટે બેચરાજી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે તેમજ રામોલ પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી છે. આ કામગીરીમાં એસ.ઓ.જી. સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR