
જામનગર, 15 એપ્રિલ (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મીઠી વીરડી ગામમાં રહેતા અને અભ્યાસ કરતા યુવકનું વિજ આંચકો લાગવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે. જેના કારણે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
મીઠી વીરડી ગામમાં રહેતા અને અભ્યાસ કરતા પ્રીત રમેશભાઈ દોંગા નામના ૧૯ વર્ષના યુવકને પોતાના મકાનના ફળિયાની સામેના ભાગમાં આવેલા પતરાના સેડ ના પોલમાંથી એકાએક વીજ આંચકો લાગ્યો હતો અને બેશુદ્ધ બન્યો હતો. જેને સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા રમેશભાઈ મોહનભાઈ દોંગાએ પોલીસને જાણ કરતાં કાલાવડ પોલીસ સ્ટેશનના એએસઆઈ વી.ડી. ઝાપડિયા બનાવના સ્થળે અને ત્યારબાદ હોસ્પિટલે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે તપાસ હાથ ધરી છે. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઇ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt