
તેહરાન, નવી દિલ્હી, 8 એપ્રિલ (હિ.સ.): અમેરિકા અને ઈઝરાયલ, બે અઠવાડિયાના યુદ્ધવિરામ માટે સંમત થયા બાદ ઈરાનના લોકો અને સરકાર ઉત્સાહિત છે. ઈરાને જાહેરાત કરી છે કે, અમેરિકા સાથે વાતચીત શુક્રવારે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં શરૂ થશે. તેહરાન કહે છે કે, આ વાતચીત તેના 10-મુદ્દાના પ્રસ્તાવ પર કેન્દ્રિત હશે, જેમાં હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ અને તમામ પ્રતિબંધો હટાવવાની વાત કહેવામાં આવી છે.
અલ જઝીરાના અહેવાલ મુજબ, ઈરાન પણ અમેરિકા સાથે બે અઠવાડિયાના યુદ્ધવિરામ માટે સંમત થયું છે. ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે જણાવ્યું છે કે, વોશિંગ્ટન સાથે વાતચીત શુક્રવારે ઈસ્લામાબાદમાં શરૂ થશે. વાટાઘાટો પ્રસ્તાવના દાયરામાં જ હાથ ધરવામાં આવશે. ઈરાનનું આ નિવેદન બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પછી આવ્યું છે, જેમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ઈરાની પાવર પ્લાન્ટ અને પુલો પર બોમ્બમારો કરવાની ધમકી પાછી ખેંચવા અને બે અઠવાડિયા સુધી હુમલો કરવાથી દૂર રહેવા સંમત થયા છે.
ટ્રમ્પે કહ્યું કે, આ કરાર હોર્મુઝ સ્ટ્રેટ પર આધારિત હશે. પરિણામ સ્ટ્રેટની પરિસ્થિતિ પર નિર્ભર રહેશે. ઈરાને તેને ઝડપથી અને સુરક્ષિત રીતે ખોલવું જોઈએ. આ એક સાંકડો જળમાર્ગ છે, જે અખાતને અરબી સમુદ્ર સાથે જોડે છે. વિશ્વના તેલ પુરવઠાનો પાંચમો ભાગ તેમાંથી પસાર થાય છે. 28 ફેબ્રુઆરીના હુમલા બાદ, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને નાકાબંધી કરી દીધી, જેના કારણે વૈશ્વિક તેલ વેપાર ખોરવાઈ ગયો. આના કારણે તેલના ભાવમાં વધારો થયો અને વિશ્વભરમાં ઈંધણની અછત સર્જાઈ. ઈરાનના બદલો લેવાના હુમલાઓ સમગ્ર અખાત ક્ષેત્રમાં પડઘા પડ્યા. આતંકવાદી જૂથો હિઝબુલ્લાહ અને હૂતીઓ પણ ખુલ્લેઆમ આ સંઘર્ષમાં ઈરાન સાથે જોડાયા.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ