
મહેસાણ, 30 મે (હિ.સ.) : ઊંઝાના પટેલ હીરાબેન ચીમનલાલ બાંગાના અવસાન બાદ તેમના પરિવારે દેહદાન કરવાનો માનવતાવાદી નિર્ણય લઈ સમાજ સમક્ષ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. “જીવતે જીવ રક્તદાન અને મૃત્યુ પછી દેહદાન”ની ઉક્તિને સાર્થક કરતા પરિવારે દુઃખની ઘડીમાં પણ સમાજહિતને પ્રાથમિકતા આપી હતી.
આ દેહદાનની પ્રક્રિયા શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝાના સહયોગથી પૂર્ણ કરવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત થયેલું આ 136મું દેહદાન હોવાનું સંસ્થાના હોદ્દેદારોએ જણાવ્યું હતું. દેહદાનથી ભવિષ્યના ડૉક્ટરોના અભ્યાસ અને વૈજ્ઞાનિક સંશોધનમાં મદદરૂપ થવાની સાથે માનવસેવાનું ઉત્તમ કાર્ય પણ થાય છે. સ્વર્ગસ્થ હીરાબેનની અંતિમયાત્રામાં શહેરના અગ્રણીઓ, સમાજના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ઉપસ્થિત લોકોએ પરિવારના આ ઐતિહાસિક નિર્ણયને બિરદાવતાં ભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પી હતી.
શાસ્ત્રોક્ત વિધિ બાદ સ્વર્ગસ્થના પાર્થિવ દેહને વડસ્મા મેડિકલ કોલેજ ખાતે સુપ્રત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદારો અને સેવાભાવી સભ્યો હાજર રહ્યા હતા અને સમાજમાં દેહદાન તથા અંગદાન અંગે વધુ જાગૃતિ ફેલાવવાની અપીલ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR