
પાટણ, 30 મે (હિ.સ.) પાટણ નગરપાલિકાએ આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રિ-મોન્સૂન આયોજન શરૂ કર્યું છે. આ અંતર્ગત શહેરના આનંદ સરોવર ખાતે વરસાદી પાણીના નિકાલ અને લિફ્ટિંગ માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી પાણી ભરાવાની સમસ્યા નિવારી શકાય.
નગરપાલિકાની વોટર વર્કસ શાખા દ્વારા તળાવ ભરાઈ ગયા બાદ વધારાના પાણીના નિકાલ માટે જનરેટર અને બે મોટરો કાર્યરત કરવામાં આવ્યા છે. આ સિસ્ટમ વરસાદી પાણીના ભરાવાની સ્થિતિમાં ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવા માટે તૈયાર કરવામાં આવી છે.
કારોબારી ચેરમેન નીલમ પટેલે જણાવ્યું કે જે દિશામાંથી પાણીનો સતત પ્રવાહ આવતો હતો તેને સીલ કરવામાં આવ્યો છે. સાથે જ મુખ્ય આવરા માર્ગમાં આવેલા માટી અને અન્ય અવરોધો દૂર કરવામાં આવ્યા છે, જેથી પાણીના વહેણમાં કોઈ અડચણ ન આવે અને યોગ્ય નિકાલ થઈ શકે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ