




- ડો. દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલના લોકાર્પણ સમારોહને સફળ બનાવવા કર્યું પાટીદારોએ આહવાન
- સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં યોજાનાર કાર્યક્રમને લઈને ઉત્સાહનો માહોલ જામ્યો છે
- બેઠક દરમિયાન આયોજન, જવાબદારીઓ અને વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી
ભરૂચ, 04 મે (હિ.સ.) : મિશન 2026 અંતર્ગત મધ્ય ગુજરાતમાં એક ભવ્ય અને મહત્વપૂર્ણ આયોજનને લઈને તૈયારીઓ તેજ બની છે. સરદારધામ સંસ્થાના સંકલન હેઠળ વડોદરામાં 150 કરોડના ખર્ચે નિર્મિત ડો. દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલના લોકાર્પણ સમારોહને સફળ બનાવવા ભરૂચના આત્મીય હોલ ખાતે મહત્વપૂર્ણ સંકલન મિટિંગ યોજાઈ હતી.
આ ભવ્ય સમારોહમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વરદહસ્તે કુલ 2000 દીકરા-દીકરીઓ માટે નિર્મિત આ વિશાળ સંકુલનું લોકાર્પણ કરશે. સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં યોજાનાર આ કાર્યક્રમને લઈને સમગ્ર મધ્ય ગુજરાતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
કાર્યક્રમને સફળ બનાવવા પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા અને જશવંત પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં વિવિધ ઔદ્યોગિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન આયોજન, જવાબદારીઓ અને વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને તમામ તૈયારીઓને અંતિમ રૂપ આપવાની દિશામાં સૂચનાઓ આપવામાં આવી.
આ પ્રસંગે પૂર્વ પ્રમુખ યોગેશ પટેલ (મામા),ભરૂચ સંઘ ચાલક ડો. કૌશલ પટેલ, નિરલ પટેલ, શૈલાબેન પટેલ, શૈલેષ પટેલ અને પિયુષ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેનાથી કાર્યક્રમને વધુ ગતિ મળી છે.
આ ભવ્ય સમારોહ 11 મે 2026ના રોજ સાંજે 4:30 કલાકે વડોદરા ખાતે યોજાનાર છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
સરદારધામ ફેસ 3 ના લોકાર્પણ પ્રસંગે આમંત્રણ માટે આવેલા ગોરધન ઝડફિયા અને જશવંત પટેલના કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન હેતલ પટેલ અને દિનેશ પટેલે ભરૂચ ખાતે આત્મીય હોલમાં કર્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાંથી જિલ્લા ,તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં બિન હરીફ તેમજ ચૂંટાયેલા પાણીદારોનું પુષ્પગુચ્છ સાલ ઓઢાડી સન્માન કરાયા હતા. પાટીદાર સમાજ સહિત તમામ લોકોને આ ઐતિહાસિક પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ