
અમરેલી, 04 મે (હિ.સ.) : વરસડા ખાતે શ્રી ભગીરથ દાદાના મંદિરના નવનિર્માણ માટે યોજાયેલા લોકડાયરામાં ભવ્ય અને અનોખું દૃશ્ય સર્જાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તો ઉમટી પડ્યા હતા, જ્યાં લોકસંસ્કૃતિ અને ભક્તિનો સુંદર સંગમ જોવા મળ્યો હતો.
લોકડાયરાની વચ્ચે કલાકારોના પ્રદર્શનથી પ્રસન્ન થયેલા લોકોએ તેમના પર ચલણી નોટો, ડોલર તેમજ ચાંદીના રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. આ દૃશ્યે સમગ્ર માહોલને ઉત્સાહભેર અને ભવ્ય બનાવી દીધો હતો. ગામના યુવાનો થી લઈને વડીલો સુધી સૌએ આ પ્રસંગમાં ઉમંગપૂર્વક ભાગ લીધો હતો.
આ લોકડાયરામાં થયેલ આવક મંદિરના નવનિર્માણ કાર્ય માટે ઉપયોગમાં લેવામાં આવશે, જે ગામ માટે ગૌરવની વાત છે. આયોજકોના જણાવ્યા મુજબ, આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સમાજમાં એકતા અને આસ્થા મજબૂત બને છે. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, સંસ્કૃતિ અને સામૂહિક સહયોગનું અનોખું ઉદાહરણ બની રહ્યો હતો, જેમાં લોકોએ દિલખોલીને દાન આપી મંદિર નિર્માણ માટે સહયોગ આપ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai