
તેલ અવીવ, નવી દિલ્હી, 14 જૂન (હિ.સ.). ઈઝરાયલના પૂર્વ વડાપ્રધાન અને વિપક્ષના નેતા યાયર લેપિડે, ઈરાન અને અમેરિકા વચ્ચેના સંભવિત કરારને લઈને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની સરકાર પર નિશાન સાધ્યું છે. તેમનું કહેવું છે કે, જો આવો કરાર થશે તો ઈઝરાયલ તેના જાહેર કરાયેલા યુદ્ધના લક્ષ્યોને હાંસલ કરવામાં નિષ્ફળ જશે.
ઈરાની સરકારી સમાચાર સંસ્થા પ્રેસ ટીવી અનુસાર, શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાહેર કરેલા નિવેદનમાં ઈઝરાયલના પૂર્વ વડાપ્રધાને જણાવ્યું હતું કે, સંભવિત કરાર પછી પણ ઈરાનની વર્તમાન સરકાર સત્તામાં રહેશે અને તેનો મિસાઈલ કાર્યક્રમ ચાલુ રહેશે. તેમણે આરોપ લગાવ્યો કે, નેતન્યાહુ સરકાર પોતાના જાહેર કરાયેલા વ્યૂહાત્મક ઉદ્દેશ્યો હાંસલ કરવામાં નિષ્ફળ રહી છે.
યાયર લેપિડની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે સંભવિત સમજૂતી કરાર પર ચર્ચાના અહેવાલો સામે આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે, આવો કરાર બંને દેશો વચ્ચે આગળની વાટાઘાટોનો આધાર બની શકે છે.
8 એપ્રિલના રોજ પણ જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, ઈરાનની નિર્ણાયક અને સફળ જવાબી કાર્યવાહી વચ્ચે એકતરફી યુદ્ધવિરામની જાહેરાત કરી હતી, ત્યારે લેપિડે આ યુદ્ધવિરામની આકરી ટીકા કરી હતી અને તેને નેતન્યાહુ માટે રાજકીય આપત્તિ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે આપણી સુરક્ષાના મૂળભૂત મુદ્દાઓ પર નિર્ણયો લેવામાં આવી રહ્યા હતા ત્યારે તેલ અવીવ વાટાઘાટોના ટેબલ પર પણ હાજર નહોતું.
લેપિડે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, નેતન્યાહુ રાજકીય અને વ્યૂહાત્મક રીતે તે લક્ષ્યોમાંથી એક પણ હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યા છે જે તેમણે પોતે નક્કી કર્યા હતા. ઇસ્લામિક રિપબ્લિક સામે અગાઉ લાદવામાં આવેલા આક્રમણ દરમિયાન થયું હતું તેમ, બીજા લાદવામાં આવેલા યુદ્ધમાં પણ ઈરાની સશસ્ત્ર દળોએ સમગ્ર ક્ષેત્રમાં સંવેદનશીલ અને વ્યૂહાત્મક અમેરિકી અને ઈઝરાયલી ઠેકાણાઓ પર મોટા પાયે જવાબી હુમલા કર્યા હતા.
તાજેતરના સંઘર્ષ દરમિયાન ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. બંને પક્ષોએ એકબીજા પર હુમલા અને જવાબી કાર્યવાહીના આક્ષેપો કર્યા હતા. પ્રાદેશિક સુરક્ષા અને વૈશ્વિક ઉર્જા પુરવઠા પર તેની અસર અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
વિશ્લેષકોનું માનવું છે કે, જો ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ નવો કરાર થશે તો તેની અસર માત્ર મધ્ય પૂર્વની સુરક્ષા સ્થિતિ પર જ નહીં પરંતુ ઈઝરાયેલની સ્થાનિક રાજનીતિ અને પ્રાદેશિક વ્યૂહરચના પર પણ જોવા મળી શકે છે.
વિપક્ષી નેતા લેપિડના નિવેદને, ફરી એકવાર ઈઝરાયલની અંદર સુરક્ષા નીતિ અને ઈરાન અંગે સરકારની વ્યૂહરચના પર ચર્ચા તેજ કરી દીધી છે.
હિન્દુસ્થાન સમાચાર / અમરેશ દ્વિવેદી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ