
- અમદાવાદમાં 154 હોટેલ અને 62 શૈક્ષણિક-કોચિંગ સંસ્થાઓને નોટિસ
- 13 હોટેલ અને એક સંસ્થા સીલ
અમદાવાદ,27 જૂન (હિ.સ.) છેલ્લે લખનઉના કલાસીસની આગની ઘટના અને દિલ્હીમાં હોટલની મોટી આગની ઘટનાઓ બાદ સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સમગ્ર અરજી અને શહેરોમાં હોટલો, ટ્યુશન કલાસીસ તેમજ વિવિધ મોલ અને કોમ્પ્લેક્ષમાં ફાયર સેફટી અને નિયમોના પાલનને લઈને ફાયર બ્રિગેડને ચેકિંગ કરવાનો આદેશ આપ્યો છે. જેને લઈને અમદાવાદ ફાયર બ્રિગેડ સક્રિય બન્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસીસમાં ફાયર સેફટી અને નિયમોના પાલનને લઈને ફાયર બ્રિગેડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
શહેરના વિવિધ ઝોનમાં હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો સામે નોટિસો ફટકારવામાં આવી છે તેમજ ગંભીર બેદરકારી સામે સીલિંગની કાર્યવાહી પણ કરવામાં આવી છે.
શહેરભરમાં હાથ ધરાયેલી આ ઝુંબેશમાં કુલ 154 હોટેલોને અને 62 શૈક્ષણિક તથા કોચિંગ સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે, જ્યારે નિયમોના ગંભીર ભંગ બદલ 13 હોટલો તેમજ એક શૈક્ષણિક/કોચિંગ સંસ્થાને સીલ કરવામાં આવી છે.
સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 47 હોટલો અને 12 શૈક્ષણિક/કોચિંગ સંસ્થાઓને નોટિસ આપવામાં આવી હતી. તેમજ 7 હોટેલો અને એક શૈક્ષણિક/કોચિંગ સંસ્થાને સીલ કરવામાં આવી હતી. ઉત્તર ઝોનમાં 7 હોટેલ્સ અને 10 શૈક્ષણિક/કોચિંગ સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે.
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 20 હોટેલ્સને નોટિસ આપવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં 13 હોટેલ અને 3 શૈક્ષણિક/કોચિંગ સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે.
મધ્ય ઝોનમાં 27 હોટેલો તેમજ 8 શૈક્ષણિક/કોચિંગ સંસ્થાઓ સામે નોટિસની કાર્યવાહી કરવામાં આવી છે.
ઉત્તર પશ્ચિમ ઝોનમાં 24 હોટેલો અને 5 શૈક્ષણિક/કોચિંગ સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે, જ્યારે નિયમોના ગંભીર ભંગ બદલ 6 હોટલોને સીલ કરવામાં આવી છે. ઈસ્ટ ઝોનમાં 16 હોટેલો અને 24 શૈક્ષણિક/કોચિંગ સંસ્થાઓને નોટિસ આપવામાં આવી છે.
રાજકોટ અગ્નિકાંડ થયા બાદ છ મહિના સુધી અમદાવાદ ફાયર બ્રિગેડ સક્રિય બન્યું હતું અને શહેરમાં અનેક જગ્યાએ ફાયર સેફ્ટીના નિયમો અને ગેરકાયદેસર બિલ્ડીંગો બાબતે કાર્યવાહી કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ