
ગાંધીનગર, 28 જૂન (હિ.સ.)-ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રવિવારે વહેલી સવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. સેક્ટર-1 ખાતે આવેલા અય્યપ્પા મંદિર નજીક ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના કચેરી પરિસરમાં ફરજ પર રહેલા 43 વર્ષીય જવાને પોતાની સર્વિસ રાઇફલથી પોતાની જાતને ગોળી મારી દીધી હોવાની ઘટના સામે આવી છે.
ગોળી વાગતા જ પરિસરમાં દોડધામ મચી ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ જવાનને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેઓ હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે.
સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. મિતાબેન પરીખે જણાવ્યું કે, જવાનની સ્થિતિ ગંભીર છે અને તબીબોની ટીમ સતત સારવાર આપી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ ઘાયલ જવાનની ઓળખ હસમુખભાઈ ચતુરભાઈ પ્રજાપતિ (ઉંમર 43 વર્ષ) તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફોરેન્સિક ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
ગોળી આકસ્મિક રીતે ચાલી હતી કે પછી માનસિક તણાવના કારણે આત્મઘાતી પગલું ભરાયું હતું, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે